પ્રોજેક્ટ સંદર્ભે યોજાયેલી રિવ્યુ બેઠકમાં મહાનગરપાલિકા, સિંચાઇ વિભાગ, વન વિભાગ, પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી
વડોદરા: વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ રાત્રે રોકાણ કર્યું હતું અને આજે સવારે શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એટલે કે વિશ્વામિત્રીમાં ચાલી રહેલી કામગીરીનું રિવ્યુ બેઠક કરી. મુખ્યમંત્રીએ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશદ ચર્ચા કરી હતી. આ બેઠક ખાસ કરીને વિશ્વામિત્રી નદી પુનઃસર્જન પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખીને યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગલપાંડે બ્રિજ નજીક વિશ્વામિત્રી નદી કિનારે પહોંચી ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અને સિટી એન્જિનિયરે પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્યમંત્રીને અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે, પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ આગામી 100 દિવસમાં, એટલે કે જૂન માસની અંદર પૂરું થઇ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે ચાલી રહેલા રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે કરાયેલા કામો નિહાળ્યા હતા.
વર્ષ ૨૦૨૪માં વડોદરા શહેરમાં આવેલી પૂરની ત્રાસદી બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાત લઇ તુરંત જ વિશ્વામિત્રી રિવાઇવઇ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને આ માટે વિશેષ કમિટિની રચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની દ્રઢ ઇચ્છાશક્તિના ફળસ્વરૂપ વડોદરા શહેરના નાગરિકોને ભવિષ્યમાં પૂરની આપત્તિથી બચાવવા માટેનું મહા અભિયાન મહાપાલિકા સિંચાઇ વિભાગ દ્વારા આરંભવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી અને તેમાં વડોદરા શહેરને પૂરથી બચાવવા તથા કેઇચ ધી રેઇન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઇ વિભાગ, મહાપાલિકા દ્વારા કરાયેલા આયોજનની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
આ બેઠકમાં એવી વિગતો રજૂ થઇ કે, શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનાં કુલ ૨૪.૭ કિમી લંબાઈમાં અંદાજે ૧૫.૪૦ લાખ ઘન મીટર માટી હટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કામને ઝડપી અને અસરકારક રીતે આગળ વધારવા માટે ૨૪૦થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા દરરોજ ૨૨૦૦૦ થી ૨૫૦૦૦ ઘન મીટર કામ કરવામાં આવી રહ્યું છે.
કુલ ૯૦૦૩૭૦ ઘન મીટર એટલે કે ૫૮ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સમગ્ર કામને તેના આરંભથી ૧૦૦ દિવસની અંદર, એટલે કે ૧ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર નદી પ્રવાહને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. દરેક વિભાગને ફરીથી Left Hand Side (LHS) અને Right Hand Side (RHS) તરીકે વિભાજિત કરીને કુલ ૧૬ પેકેજ બનાવવામાં આવ્યા છે. હાલમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને RHS તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ RHS વિસ્તારમાં પેકેજો પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે LHS તરફ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
RHS વિભાગમાં પેકેજ – ૧ હેઠળ મારેઠા સ્મશાનથી કોટનાથ મહાદેવ મંદિર સુધીની ૬૧૨૩ મીટરની લંબાઈમાં ૧૮૧૭૦૩ ઘન મીટર માટી હટાવવાનું કામ સંપૂર્ણ થયું છે. બીજા પેકેજમાં હેઠળ કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ સ્કૂલ સુધીની ૫૯૩૭ મીટરની લંબાઈમાં ૨૦૨૦૦૩ ઘન મીટરમાંથી ૧૭૧૩૬૬ ઘન મીટર કામ પૂર્ણ થયું છે, જે કામગીરીનું પ્રમાણ ૮૪ ટકા થવા જાય છે. ત્રીજા પેકેજ હેઠળ વિદ્યાકુંજ સ્કૂલથી કાશીબા હોસ્પિટલ સુધીની ૬૫૧૬ મીટરની લંબાઈમાં ૧૯૩૫૩૨ ઘન મીટર કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. તદ્દઉપરાંત ચોથા પેકજમાં કાશીબા હોસ્પિટલથી દેણા ચોકડી બ્રીજ સુધીની ૬૧૯૭ મીટરની લંબાઈમાં ૧૯૨૨૪૦ ઘન મીટરનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડોદરા શહેરને પૂરના પાણીથી બચાવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં દંડક બાળકૃષ્ણભાઇ શુક્લ, મેયર પિંકીબેન સોની, કેયુરભાઇ રોકડિયા, ચેતન્યભાઇ દેસાઇ, ચૈતન્યસિંહ ઝાલા, શૈલેષભાઇ મહેતા, ઉપમેયર ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા હતા.