આત્મનિર્ભરતા માટે બનાવાયેલું સરકારી સંકુલ તંત્રની બેદરકારીનો ભોગ બન્યું, વર્ષોથી અવગણના હાલતમાં સંબંધિત યોજનાની અસરકારકતા પર સવાલો
વડોદરા ::શહેરના માંજલપુર વિસ્તારમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (NULM) અંતર્ગત આત્મનિર્ભરતા માટે બનાવાયેલું તાલીમ સંકુલ આજે ધૂળ ખાઈ રહ્યું છે. આ સંકુલ જરૂરિયાતમંદ નાગરિકોને રોજગારપ્રદ તાલીમ આપી સ્વાવલંબન તરફ દોરી જવાનો હેતુ ધરાવતું હતું, પરંતુ તંત્રની બેદરકારી અને વહીવટી નિષ્ક્રિયતાના કારણે તેના દુરુપયોગ અને અવગણના હાલત સર્જાઈ છે.

તાલીમ પ્રવૃતિઓ માટે બનાવાયેલી ઈમારત અત્યારે તૂટફૂટની હાલતમાં છે. ઈમારતના આસપાસ કચરાના ઢગલા, તૂટી ગયેલી બારીઓ અને બંધ દરવાજાઓથી સ્પષ્ટ થાય છે કે તંત્ર દ્વારા વર્ષોથી આ પરિસરની દેખભાળ કરવામાં આવી નથી. એક સમયે યુવાનો અને મહિલાઓ માટે આત્મનિર્ભરતા કેન્દ્ર તરીકે પ્રારંભ કરાયેલું આ સ્થળ હવે નિર્જીવ માળખામાં રૂપાંતરિત થઈ ગયું છે.
સ્થાનિક રહેવાસીઓ કહે છે કે સંકુલ શરૂ થતા સમયે અહીં સિલાઈ, કોમ્પ્યુટર, બ્યુટિશિયન અને વિવિધ કૌશલ્ય તાલીમ આપવાના કોર્સ યોજાતા હતા, પરંતુ ધીમે ધીમે તમામ પ્રવૃતિઓ બંધ થઈ ગઈ. હવે આ ઈમારત ખાલી પડી છે અને આસપાસ ગંદકીનું પ્રદર્શન કરે છે.

નગરજનોનો સવાલ છે કે તંત્રના સુશ્રુશા હેઠળ શરૂ થયેલી આ યોજના જો સંભાળવામાં જ નહીં આવે, તો સરકારની જનકલ્યાણજનક યોજનાઓ કાગળ પર જ કેમ નહીં રહી જાય? તંત્રની બેદરકારી અને વહીવટી અસમર્થતા લીધે લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રચાયેલું સંકુલ હવે નિર્ષ્પ્રયોજન બની ગયું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક પગલા લેવા જરૂરી બની ગયું છે, જેથી આ માળખો ફરીથી જીવંત બની શકે અને શહેરના જરૂરિયાતમંદ નાગરિકોને રોજગાર તથા આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી શકે.
