અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી કોણે બનાવી તે જાણવામાં પોલીસ નિષ્ફળ
બોગસ ફાયર એનઓસી મામલે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી
વડોદરા : શહેરમાં નકલી ફાયર એનઓસીનો વધુ એક બનાવ સામે આવતા ફરી ચકચાર મચી છે. આ વખતે હરણી તળાવ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ માટે નકલી ફાયર એનઓસી તૈયાર કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે રાવપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બે મહિના પહેલા પણ આજવા રોડ સ્થિત અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી મામલે ફરિયાદ આપી હતી. જોકે, હજુ સુધી પોલીસ અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી કોને બનાવી તે જાણવામાં સાવ નિષ્ફળ નીવડી છે. એટલું જ નહીં, અર્શ પ્લાઝા મામલે બિલ્ડિંગના માલિક દ્વારા પણ બાપોદ પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જોકે, બાપોદ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું અર્શ પ્લાઝાના માલિકે જણાવ્યું હતું.
મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં મળી આવેલા દસ્તાવેજમાં ચીફ ફાયર ઓફિસરના નામે સહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે ફાયરના કર્મીઓએ તપાસ કરતાં એ સહી ફાયર વિભાગના ભૂતપૂર્વ અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટની હોવાનું જણાયું છે, જ્યારે દસ્તાવેજમાં તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝદનું નામ લખાયું છે. દસ્તાવેજમાં જાવક નંબર, વોર્ડ ઓફિસનો સિક્કો અને ચલણ નંબર જેવી વિગતો હોવા છતાં સહી અને નામ ન મળતા અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જે ફોર્મેટમાં દસ્તાવેજ તૈયાર કરાયો હતો, તે પહેલાં પકડાયેલી નકલી ફાયર એનઓસી જેવી જ હોવાનો ખુલાસો થયો છે. વિશેષ વાત એ છે કે, આ નકલી એનઓસીમાં જે બાંધકામ દર્શાવાયું છે તેમાં થયેલા બાંધકામ કરતાં વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, ફાયર સુરક્ષા બાબતે હકીકતમાં મંજૂરી મળેલી ન હોવા છતાં ભૂલભૂલૈયા પધ્ધતિથી ફોર્મલ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક અંદાજ છે. હરણી તળાવ નજીકના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ માટે જે નકલી એનઓસી તૈયાર કરવામાં આવી છે તે જયેશ મકવાણાનું કામ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે, અગાઉ આજવા રોડ પર આવેલા અર્શ પ્લાઝાની નકલી ફાયર એનઓસી પણ જયેશ મકવાણાએ જ આપી હોવાનું સામે આવ્યું હતું.
મહાલક્ષ્મી કોમ્પલેક્ષને ફાયર વિભાગની નોટિસ
ફાયર વિભાગ દ્વારા મહાલક્ષ્મી કોમ્પલેક્ષને નોટિસ ફટકારવામાં આવી છે અને દસ દિવસમાં એનઓસી સહિતની કામગીરી કરવા તાકીદ કરાઈ છે. જો દસ દિવસમાં કામગીરી નહીં કરે તો નિયમાનુસાર કાર્યવાહી કરાશે.