Vadodara

બેઠકો ઘટાડતા હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થી સાથે અન્યાય

હોસ્ટેલ સત્તાધીશોએ કોમર્સના એફવાયના વિદ્યાર્થીઓ માટે માત્ર 200 બેઠકો ફાળવી

કોમર્સના વિદ્યાર્થીઓના નાછૂટકે વધારે પૈસા ખર્ચીને પીજી તરીકે બહાર રહેવાનો વારો આવશે :

( પ્રતિનિધી )વડોદરા,તા.31

વિવાદોના વંટોળમાં ઘેરાયેલી એમ.એસ.યુનિવર્સિટીમાં કોમન એકટ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓના પ્રશ્ને અનેક વિવાદ સામે આવ્યા હતા. ત્યારે હવે હોસ્ટેલમાં એડમિશનને લઇ નવો વિવાદો સામે આવ્યો છે. કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓછી બેઠકો ફાળવવામાં આવતા હવે નાછૂટકે આ વિદ્યાર્થીઓને વધારે પૈસા ખર્ચી બહાર રહેવાનો વારો આવશે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં પ્રવેશની કાર્યવાહી પૂર્ણતાને આરે છે. ત્યારે, યુનિવર્સીટીની સૌથી મોટી કહેવાતી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન માટે અન્યાય કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના કહ્યા પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે. પ્રથમ વર્ષ એફવાયમાં છ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે પણ આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે અને તેમાં સેંકડો વિદ્યાર્થીઓ બહારગામના છે. તેની સામે હોસ્ટેલ સત્તાધીશોએ કોમર્સના એફવાયના વિદ્યાર્થીઓ માટે માત્ર 200 બેઠકો ફાળવી છે. ગત વર્ષ કરતા એફવાય બીકોમની 150 જેટલી બેઠકો ઘટાડી દેવામાં આવી છે. આ બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ અપાય છે અને તેમાંય 75 ટકા લાવનારા કેટલાય વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત છે. હવે કોમર્સના વિદ્યાર્થીઓના નાછૂટકે વધારે પૈસા ખર્ચીને પીજી તરીકે બહાર રહેવાનો વારો આવશે. તેની સામે જોકે ચીફ વોર્ડનનું કહેવું છે કે કોમર્સના જે વિદ્યાર્થીઓ એસવાય કે ટીવાયમાં ડિટેન થયા હશે તેમને હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળે અને આ ખાલી જગ્યાઓ પર એફવાયના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

Most Popular

To Top