હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે માગશરી પૂનમના રોજ માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.

માતાજીના ભક્તો વહેલી સવારે માતાજીના દર્શનાર્થે ડુંગર પર પહોંચતા ઠંડી સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને ભક્તોને માતાજીના દર્શનની સાથે સાથે હિલ સ્ટેશનના માહોલનો અહેસાસ થતાં ભક્તો અભિભૂત થયા હતા. જ્યારે અડધો લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી.
શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શનનો આસો તેમજ ચૈત્રી નવરાત્રી સાતમ આઠમ તેમજ પૂનમના રોજ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.
આજે માગશરી પૂનમ હોઈ ભક્તો ગત મોડી રાત્રી તેમજ આજે વહેલી સવારથી જ પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા. જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે વહેલી સવારે પાંચ કલાકે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શાનર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર માઇ ભક્તોએ જય માતાજીના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. જ્યારે નીજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા ભક્તો શિસ્ત બદ્ધ રીતે માતાજીના ચરણોમાં શ્રેષ્ઠ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
સવારે રોપ વે બંધ છતાં ભક્તોની શ્રદ્ધા ડગી નહીં

પૂનમને લઈને ભક્તો વહેલી સવારે ડુંગર પર માચી ખાતે રોપ વેમાં માતાજીના દર્શન કરવા માટે નીજ મંદિર ખાતે જવા આવી પહોંચ્યા હતા. જોકે ખરાબ વાતાવરણને ધ્યાનમાં લઇ તેમ જ ડુંગર પર પવનની ગતિ વધારે હોવાથી રોપવે સુવિધા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઇ ને રોપ વે સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી હતી. તેમ છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈપણ પ્રકારની ઓટ આવી નહોતી અને ભક્તો પગપાળા ડુંગર પર માતાજીના દર્શનાર્થે જવા નીકળ્યા હતા. જોકે ૧૦.૦૦ વાગ્યા બાદ પવનની ગતિ ઓછી થતાં રોપવે સુવિધા શરૂ કરવામાં આવી હતી.
અહેવાલ: યોગેશ ચૌહાણ.