Vadodara

પારુલ યુનિવર્સિટીના ન્યુરોલોજીના વિદ્યાર્થીને લોકોએ ચોર સમજી ધોઇ નાખ્યો…

વડોદરા : આકડીયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીના ન્યુરોલોજીના વિદ્યાર્થીને ચોર સમજી ધોઇ નાખ્યો,હાથમાં ફેક્ચર

વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત વિવિધ તાલુકામાં ટેમ્પો અને ઇકો કારમાં ચોર ટોળકી ફરી રહી છે. અને લોકોને માર મારી ચોરી – લૂટ ચલાવી રહ્યા હોવાની જોરદાર અફવાઓ ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે ભયના ઓથાર નીચે આવી ગયેલા ગામ લોકોએ પોલીસ ઉપર ભરોસો ન રાખતાં રાત્રે ફેરણી શરૂ કરી દીધી છે. જોકે, આકડીયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીમાં ન્યુરોલોજીમા અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીને ચોર સમજી ઢોર માર મારતાં ચકચાર મચી ગઇ છે. ગામલોકોના જીવલેણ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને પારુલ હોસ્પિટલમાં ICU માં સારવાર આપવામાં આવી રહી છે. હુમલામાં વિદ્યાર્થીને હાથમાં ફેક્ચર થઇ ગયું છે. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં 15 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોધાઇ છે.

વાઘોડિયા તાલુકાના માડોધર રોડ નવીનગરી, તવરા, વ્યારા, ખંધા, ગજાગરા, માડોધર , આકડીયાપુરા વિગેરે જેવા ગામમાં MP થી વાહનો લઈ ચોરો ચોરી કરવા આવી રહ્યા હોવાની જોરદાર અફવા ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં પોલીસ જવાનનો હાથ કાપી નાખેલો અને પોલીસ દ્વારા ચોરને માર મારતો વીડિયો વાયરલ કરાતા ગ્રામ્યજનોમા ગભરાટ ફેલાઇ ગયો છે. અને ગામ લોકોએ પોતાના ગામની સુરક્ષા વચ્ચે ફેરી શરૂ કરી દીધી છે. આવી સ્થિતી પાદરા, ડભોઇ સહિતના તાલુકાઓના ગામોમાં હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્યજનોની ગેરસમજના કારણે રવિવારે વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા D-3, શુભ પ્લાઝમા રહેતો અને પારુલ યુનિવર્સિટીમાં BSC ન્યુરોલોજીમા અભ્યાસ કરતો 20 વર્ષિય પાયો એરીક રવિવારની રજા હોવાથી મિત્રની સાઇકલ લઇને વાઘોડિયા ફરવા નિકળ્યો હતો. અને ફરતા ફરતા આકડીયાપુરા ગામ તરફ નીકળી ગયો હતો. દરમિયાન ચોરોને પકડવાની ફિરાકમાં ફરતા આકડીયાપુરા ગામના લોકોને વિદ્યાર્થી પાયો એરીક ચોર જેવો દેખાતા, તેનું નામ પૂછ્યું હતું. વિદેશી વિદ્યાર્થી પાયોને ગુજરાતી આવડતું ન હોવાથી તે અંગ્રેજીમાં વાત કરતાં ગ્રામ્યજનોએ આ યુવાન ચોર હોવાનું અનુમાન લગાવી ઢોર માર માર્યો હતો. ગામલોકો વિદેશી વિદ્યાર્થી પાયો એરીકને માર મારી રહ્યા હતા. તે દરમિયાન પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર છાયંકાબેન આવી જતાં વિદ્યાર્થીને ગામલોકોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. તે સાથે પ્રોફેસરે યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર એમ.પી.સિંઘને જાણ કરતાં તેઓ પણ રોહિત કુમાર અને પી.સી.બાબુ પણ દોડી આવ્યા હતાં. અને ઇજાગ્રસ્ત પારોને પારુલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જીવલેણ હુમલામાં વિદ્યાર્થીના ડાબા કાંડામાં ફેક્ચર થઇ ગયું છે. હાલ તેણે ICU માં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પાયો એરીકે વાઘોડિયા પોલીસ મથકમાં આકડીયાપુરા ગામના મહેશ મથુરભાઈ પરમાર, જગદીશ અંબાલાલ પરમાર, સુનિલ મણીલાલ વસાવા અને રાહુલ મણિલાલ વસાવા સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ કરી રહેલા પી.એસ.આઇ. એચ. વી. ગુજરાતીએ જણાવ્યું હતું કે પોલીસ હુમલાખોરોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top