પાદરા.તા.
પાદરા તાલુકાના ચોકારી ગામે કૃષ્ણનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 70 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુરભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે. તેમની હત્યા કર્યા બાદ અજાણ્યા શખ્સો તેમના શરીરથી માથું અલગ કરીને સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સમગ્ર ગ્રામ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, કુબેરભાઈ પોતાના ખેતરમાં આવેલા ઘરમાં એકલા રહેતા હતા. તેઓ નિવૃતી ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું કામ પણ કરતા હતા. પરંતુ હાલમાં ગામમાં દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી તે પાટોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં કુબેરભાઈ છેલ્લે જોવા મળ્યા હતા તેમ જાણવા મળેલ છે.
ગતરોજ, આસપાસના ખેડૂતોએ ખેતરમાં વાંદરાઓના ઉપદ્રવને કારણે દેખરેખ રાખતી વખતે સીમ વિસ્તાર માં એકલા રહેતા કુબેરભાઈના ઘરની નજીક બૂમાબૂમ કરી તપાસ કરી હતી પણ તેઓના ઘર અંદરથી કોઇ પ્રતિસાદ ન મળતાં દરવાજો ખોલીને અંદર જઈ ને જોતા શરીર વિના શીશ જોવા મળતા આજુબાજુના લોકો ભયભીત થયા હતા અને ઘટના અંગે વડુ પોલીસને જાણ કરાઈ હતી.
જે માહિતી મળતા વડુ પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી ઍસઑજી સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને અન્ય એજન્સીઓની મદદથી તપાસ ચાલી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે હત્યારાઓ મૃત્યુ પછી મૃતકનું માથું પણ સાથે લઈ ગયા છે. એ વાત ને લઈ ગ્રામજનો ચિંતિત બન્યા છે.
આ હત્યાની ફરિયાદ કુબેરભાઈની પુત્રી, જે નરસીપુરા ગામે પરણેલી છે, તેમણે વડુ પોલીસ મથકે નોંધાવી છે. સમગ્ર ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે અને ગ્રામજનોમાં ચકચાર વ્યાપી ગઈ છે. સમગ્ર ગામમાં દહેશત અને ચકચારનું વાતાવરણ છે અને લોકો દોષિતને ઝડપથી પકડવાની માંગ કરી રહ્યા છે.