રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટારૂઓ બેફામ બન્યા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.1
ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કોરણે મુકાઈ ગઈ હોય તેમ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમોમાં કોઈ ડર રહ્યો નથી. હવે મહુધામાં લુંટારુઓએ ધોળે દિવસે ઘરમાં ઘુસી વૃદ્ધને બંધક બનાવી અને સવા લાખ ઉપરાંતની મત્તા લૂંટીને ફરાર થઈ જતા ચકચાર મચી છે. હાલ આ મામલે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ સમગ્ર મામલે પીડિત જેઠાભાઈ મકવાણાના જણાવ્યાનુસાર તેઓ બપોરના સુમારે 1.30 કલાકે મહુધા ચકલી વિસ્તારમાં આવેલા મકાનમાં મેળા પર એટલે કે પ્રથમ માળે પત્ની સાથે હતા, તે દરમિયાન એકાએક કેટલાક ઈસમો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને પાછળની રૂમમાં બેઠેલા જેઠાભાઈ પર ચાદર નાખી દીધી હતી, તે પછી જેઠાભાઈને નીચે પાડી દઈ અને તેમના હાથ-પગ બાંધી દીધા હતા અને તેમની પાસે ઘરમાં જે કાંઈ હોય તે આપી દેવા જણાવ્યુ હતુ. આ દરમિયાન જેઠાભાઈએ ના પાડતા, આ લૂંટારુઓએ ચપ્પા જેવા હથિયારથી તેમના પગ પર ઘસરકો કર્યો હતો, આ કર્યા બાદ જેઠાભાઈએ ડરના માર્યા ઘરમાં રહેલી સામગ્રી બતાવી હતી, જેથી તિજોરીમાંથી આ ઈસમોએ 1.85 લાખ રોકડા અને જેઠાભાઈના હાથમાંથી વીંટી અને અન્ય એક કબાટમાંથી 17 હજાર રૂપિયા જેટલી રકમ કાઢી લીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સામે આવતા હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે અને આ મામલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તરફ જેઠાભાઈના પત્નીને પણ આંખે જોઈ ન શકતા હોવાની પણ માહિતી મળી રહી છે.
જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. એકતરફ અસામજીક તત્વોને ડામવા માટે જોરશોરથી બૂમરેંગ કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં અસમાજીક તત્વોમાં પોલીસ અને કાયદાનો બિલકુલ ડર ન હોય તેવી પરીસ્થિતિ દેખાઈ રહી છે. જેના કારણે મહુધામાં મુખ્ય રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે ઈસમોએ લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા છે.


