Charotar

નડિયાદમાં સંતરામ રોડ પર મધરાતે યુવકની છરો મારી હત્યા


સામાન્ય બોલાચાલીમાં બજાર વચ્ચે યુવકનું ઢીમ ઢાળી દીધુ, આરોપીઓ ઝડપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
નડિયાદમાં શહેરની વચ્ચોવચ સંતરામ રોડ પર એક યુવકની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે. નજીવી બોલાચાલીમાં છરીથી હુમલો કર્યો અને યુવક ઢળી પડ્યો, બાદમાં હોસ્પિટલ ખસેડાયો અને તેને મૃત જાહેર કરાયો હતો.


મળતી માહિતી મુજબ મોડી રાતે સંતરામ રોડ પર કબીરપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય હિતેશ વાઘેલા નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. શહેરના સંતરામ રોડ પર આવેલા નાની શાકમાર્કેટ બહાર હત્યાના બનાવથી શહેરભરમાં ચકચાર જાગી છે. હિતેશને મોડી રાતે હરીશ ઉર્ફે યોગો હિંમતભાઈ કાંગસીયા (રહે. માઈમંદિરનો ખાંચો, તલાટી બાગ સામે) અને કરણ ડાહ્યાભાઈ મારવાડી (રહે. પેરીશપાર્ક, ઈન્દિરા ગાંધી માર્ગ) બંને સાથે બોલાચાલી થઈ હતી. હિતેશના ઘર પાસે માથાકૂટ થયા બાદ તે ભાગીને બજાર તરફ આવ્યો હતો, જ્યાં આ બંને આરોપીઓ દ્વારા તેની સાથે માથાકૂટ કરી અને હરીશ કાંગસીયાએ હિતેશને છાતીના ભાગે ચક્કુ માર્યુ હતુ. જ્યાં હિતેશને લોહી નીકળવા લાગ્યુ હતુ અને તે ઢળી પડ્યો હતો. આ દરમિયાન હિતેશની સાથે રહેલા યોગેશે આ મામલે તેના પરીવારજનોને જાણ કરી અને પરીવારજનોએ આવી પહેલા સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં મહાગુજરાત હોસ્પિટલમાં હિતેશને ખસેડ્યો હતો, પંરતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વહેલી સવારથી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. હિતેશ વાઘેલાનું પોસ્ટમોર્ટમ કરવા માટે કરમસદ મેડીકલ હોસ્પિટલમાં મૃતદેહ મોકલાયો હતો. તો આ તરફ પોલીસે બંને આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે. તેમજ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળેથી FSLની ટીમે પુરાવા એકત્ર કર્યા


આ ઘટના બાદ બપોરના સુમારે ટાઉન પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કોર્ડન કરેલી જગ્યામાંથી લોહીના નમૂના સહિત અન્ય પુરાવા એકત્ર કરાયા હતા. પોલીસ હાલ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

નજીવી બોલાચાલીમાં હત્યા કરી
મૃતકના કુટુંબી ભાઈ યોગેશ વાઘેલાનો જન્મદિવસ હતો અને અશોક સરગરા, રાકેશ વાઘેલા, ભાવેશ વાઘેલા, ભરત વાઘેલા, રાહુલ વાઘેલા, અજય સરગરા, કેયુર પટેલ, હરીશ ઉર્ફે યોગો કાંગસીયાએ તમામે ભેગા મળી કેક કાપી હતી. બાદમાં હરીશે જમવા જવાનું જણાવ્યુ હતુ. જેથી રાકેશ, હરીશ અને અશોક જમવા ગયા હતા. જ્યાં દુકાનો બંધ હોવાથી તેઓ પરત આવ્યા હતા અને હરીશને માઈ મંદિરના ખાંચા પાસે ઉતાર્યો હતો. હરીશ અહીંયાથી ચાલતા બસ સ્ટેન્ડ તરફ ગયો અને બાદમાં અશોકને ફોન કરી મને જમાડ્યા વગર મુકીને જતા રહ્યા તેમ કહી ગાળો બોલતો હતો. બાદમાં અશોક અને રાકેશ બસ સ્ટેન્ડ પાસે તેને મળવા ગયા ત્યાં પણ આ હરીશ ગાળો બોલ્યો હતો. જેથી બંને પરત પોતાના ફળિયા પાસે આવી ગયા હતા. આ વખતે અશોકની સાથે હિતેશ, ભાલેશ, રાકેશ અને કેયુર બેઠા હતા. દરમિયાન આ હરીશ રીક્ષામાં પાછળ બેસીને આવ્યો હતો. તેમજ કરણ મારવાડી રીક્ષા ચલાવતો હતો. બંનેએ ગાળો બોલતા હોય, હિતેશે તેમને ગાળો બોલવાની ના પાડી હતી. ત્યાંથી આરોપીઓ રીક્ષા લઈને સંતરામ તરફ નીકળતા હિતેશ અને અશોક બંને પાછળ ગયા હતા. દરમિયાન પુનઃ માથાકૂટ થઈ અને કરણે હિતેશને પકડી રાખ્યો અને હરીશે છરાથી હુમલો કર્યો હતો. જેમાં હિતેશનું મોત થયુ છે.

Most Popular

To Top