વાવાઝોડામાં વીજ થાંભલો પડતા અકસ્માત સર્જાયો
ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અફરાતફરી, ઘાયલોને SSG હોસ્પિટલ ખસેડાયા
વડોદરા: શહેરના હાઇવે નંબર 48 પર ધન્યાવી ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો.
માહિતી મુજબ, વાવાઝોડાના કારણે રસ્તા પર વીજ થાંભલો પડી જતા ટ્રક ચાલકે તેને ટાળવા માટે અચાનક સ્ટીયરિંગ ફેરવ્યું હતું. આ દરમિયાન ટ્રક પલટી મારી ગયો અને પાછળથી આવી રહેલી ઈકો કાર પર જઈ પડ્યો હતો.
અકસ્માત થતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ટ્રક ચાલક અને ઈકો કારનો ચાલક બંને ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તરત જ દોડધામ કરીને મદદ પહોંચાડી હતી.
જાણ થતા એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઘાયલોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.