અઢી વર્ષીય બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને રાછરડા ગામે એક વ્યક્તિ પાસે લઈ માવતરના ના કહેવા છતાં બાળકીના પેટ પર ગરમ સોયના ડામ દેતા બાળકીની તબિયત વધુ લથડી હતી
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના હિમાલા ગામની અઢી વર્ષીય બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે રાછરડા ગામે એક વ્યક્તિ પાસે લઈ જતા વ્યક્તિએ માવતરના ના કહેવા છતાં બાળકીના પેટ પર ગરમ સોયના ડામ દેતા બાળકીની તબિયત વધુ લથડતા બાળકીની માતાએ આ મામલે વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિની અટકાયત કરી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લો પાયાના શિક્ષણના અભાવે શૈક્ષણિક રીતે પછાત હોવાથી જિલ્લામાં છાસવારે અંધશ્રદ્ધાનું ભૂત ધુણતું હોવાના અહેવાલો છે. જેમાં ક્યાંક ડાકણ હોવાનો આરોપ મૂકી નિર્દોષ મહિલાને પ્રતાડિત કરવામાં આવી છે. તો ક્યાંક વળગાડ હોવાનું કહી ભુવા દ્વારા ડામ દેવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં તારીખ ૨૯-૧-૨૦૨૫ ના રોજ દાહોદ તાલુકાના હિમાલા ગામના ખાંડીવાવ ફળિયામાં રહેતા કાજુભાઈ બાપુભાઈ ભાભોરના છોકરા રાહુલભાઈની છોકરી અઢી વર્ષીય ત્રિશાબેનને શ્વાસ લેવામાં તકલીફ પડતા ત્રિશાબેનની દાદી ૪૫ વર્ષીય રમીલાબેન કાજુભાઈ બાપુભાઈ ભાભોર પૌત્રી ત્રિશાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાના બદલે રાછરડા ગામે રહેતા ભગાભાઈ દલાભાઈ સોલંકી વ્યક્તિના ઘરે લઈ ગયા હતા. જ્યાં ભગાભાઈ સોલંકી નામના વ્યક્તિએ કોઈકે કંઈક કરી દીધું હોવાથી તેને પેટ પર સોયના ડામ દેવા પડશે તેમ જણાવતા ત્રિશાબેનના દાદી રમીલાબેન ભાભોરે ડામ દેવાની ના પાડી હતી. તેમ છતાં ભગાભાઈ સોલંકીએ ભોગ બનનાર ત્રિશાબેનને પેટ પર ગરમ સોય વડે ડામ દીધા હતા. જેથી ત્રિશાબેનની તબિયત વધુ લથડતા ત્રિશાબેનને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રિશાબેન હાલ સારવાર હેઠળ છે. જ્યારે આ સંબંધે ભોગ બનનાર ત્રિશાબેનના દાદી હિમાલા ગામના ખાંડીવાવ ફળિયાના રમીલાબેન રાજુભાઈ બાપુભાઈ ભાભોરે રાછરડા ગામના ભગાભાઈ દલાભાઈ સોલંકી નામના વ્યક્તિ વિરુદ્ધ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભગાભાઈ સોલંકી વિરુદ્ધ બી.એન.એસ કલમ૧૧૮(૧) તથા બાળ સુરક્ષા અધિનિયમ ૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ભગાભાઈ દલાભાઈ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને તેના કારણે થતા નુકસાનને ઉજાગર કર્યું છે. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં લોકો હજી પણ અંધશ્રદ્ધાના વમળમાં અટવાયેલા જાેવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે, આવી ઘટનાઓ ક્યારે અટકશે ?
આરોપી ભૂવો નથી પણ ઊંટવૈધું કરી સારવાર કરે છે
આ બનાવમાં પોલીસ તપાસ દરમ્યાન આરોપી ભગાભાઈ દલાભાઈ સોલંકીની તાત્કાલિક ધોરણે અટકાયત કરી હતી. પોલીસ દ્વારા વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ ઝડપાયેલ આરોપી કોઈ ભુવો ન હતો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે માન્યતાઓ હોય છે કે, બાળકો અને વયોવૃધ્ધ જ્યારે બીમાર પડતાં હોય ત્યારે દવાખાને લઈ જવાને બદલે આવા વ્યક્તિ પાસે લઈ જવામાં આવે છે. આવા વ્યક્તિઓ ભુવાનું કામ કરતાં નથી પરંતુ ખોટી માન્યતાઓ અને ટેકનોલોજીના અભવે તેઓ પોતાની રીતે દવા આપી અને બાળકોને ડામ આપી સારવાર કરતાં હોય છે. ઉપરોક્ત ઝડપાયેલ આરોપી દ્વારા પણ પોતાની આવડત પ્રમાણે બાળકોથી લઈ વયોવૃધ્ધ લોકો જ્યારે બીમાર પડે ત્યારે તેઓને દવા પણ આપતો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં ગ્રામ્ય વિસ્તારમાંથી જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત વ્યક્તિ દ્વારા બીમાર બાળકોને ડામ આપવા તેમજ દવાઓ પણ આપતો હતો સાથે સાથે જાે ગામમાં કોઈ વ્યક્તિઓને શરીર દુઃખતું હોય કે સાંધાની કોઈ સમસ્યા હોય તો ઉપરોક્ત વ્યક્તિ દ્વારા મસાજ, માલીસ સહિત દવા આપી તેમજ મરોડ આપી સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.
———————————————————-
