સાંગા ફળિયામાં 63 મિલ્કતધારકોને ગેરકાયદેસર દબાણ દૂર કરવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ !
અગાઉ દબાણ દૂર કરવા કોર્ટની નોટિસ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો : હાઈકોર્ટે મિલકત ધારકોને સાંભળી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો
દાહોદ તા.૨૫
દાહોદના બહુચર્ચિત રેવન્યુ સર્વે નંબર 1003 વાળી સાંગા ફળિયાની જમીનમાં દબાણ મામલે આજરોજ મામલતદાર કચેરી દ્વારા રેવન્યુ સર્વે નંબર 1,003 વાળી સાંગા ફળીયાની જામીનમાં કરેલું દબાણ દૂર કરવા નોટિસ ઈશ્યુ કરી નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં કાર્યવાહી કરવા કહેવાતા ગેરકાયદેસર મિલકત ધારકોમાં આક્રોશ સાથે ગમગીની ફેલાઈ જવા પામી હતી.એટલું જ નહીં વર્ષોની મૂડી હોમાઈ જશેની બીકે ઉપરોક્ત સર્વે નંબરમાં આવેલ 58 થી વધુ મિલકત ધારકો દ્વારા પોતે જ માલિક છે, તેમની પાસે સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ થયા છે તેવી રજૂઆત સાથે કલેકટર એસ.ડી.એમ વિગેરે સમક્ષ રાવ કરી હતી અને આવેદનપત્રો પણ અપાયા હતા.
નકલી NA પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું. દાહોદ ગામની સર્વે નંબર 1003ની જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની/સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું. અત્રેના સાંગા ફળિયાના ગોડાઉનધારકો અને દુકાનધારકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટે દાહોદના 61 કરતાં પણ વધુ કબજેદારોને દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવાનું ડાયરેક્શન આપ્યું હતું. આમ જે તે સમયે ગોડાઉન ધારકો અને દુકાનદારોને જીવનદાન પ્રાપ્ત થયું હતું. સ્થળ પરથી સંબંધિત તંત્રને પાછું ફરવું પડ્યું હતું.ત્યારબાદ હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ હાઇકોર્ટની રજૂઆત મુજબ દબાણકર્તાઓને ઓક્ટોબર માસમાં 24, 25.અને 30 તારીખ આપવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર માસમાં 11 અને 18 તારીખની મુદતો આપી તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા.એટલું જ નહીં હાજર રહેલા લોકો પછી વધુ સુનાવણીની જરૂરિયાત ન હોય આ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો.આ કેસમાં સરકાર તરફે મામલતદાર દ્વારા સામેવાળા એટલે કે 63 જેટલા દબાણકર્તાઓને સાંભળ્યા બાદ મામલતદારના હુકમથી પાછળથી કોઈ લેટિગેશન ઊભું ન થાય તે માટે ડીમાર્ગેશન કરવા માટે છેલ્લી માપણીનો હુકમ કર્યો હતો. જેના સંદર્ભમાં તાજેતરમાં મામલતદાર કચેરીના તલાટી સર્કલ તેમજ DIRL દ્વારા સ્થળ પર જઈ છેલ્લી માપણી કરવામાં આવી હતી. જેમાં અગાઉ કરેલ ડીમાર્ગેશન મુજબ માપ નીકળ્યું હતું. જે બાદ આજરોજ મામલતદાર કચેરી દ્વારા સાંગા ફળિયાના દબાણકર્તાઓને મહેસુલ કાયદાની 1879 ની કલમ 61 મુજબ છેલ્લી નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે દબાણકર્તાઓને દિન ત્રણમાં દબાણ સ્વખર્ચે દૂર કરી જમીન પૂરી કરવા જણાવ્યું છે. આ અંગે કોઈ મિલકત ધારકોને કોઈ રજૂઆત કરવી હોય તો 30.4.2025 ના રોજ રૂબરૂ મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. ત્યારબાદ અગામી સમયમાં દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.