Dahod

દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો

લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો વધુ એક ફટકો


દાહોદ | તા. 17


દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધાયો છે. પંચમહાલ એસીબીએ તપાસ દરમિયાન રૂ. 65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.

પંચમહાલ એસીબી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મયુર પારેખે 01/01/2005 થી 30/06/2023 દરમિયાન પોતાના ફરજકાળ દરમ્યાન કાયદેસરની આવકની સરખામણીમાં રૂ. 65,40,163.81 જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતાં અંદાજે 22.58 ટકા વધુ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

એસીબીના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હોવાનો ગંભીર આરોપ છે. અગાઉ લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની આવક-ખર્ચ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ દ્વારા સરકાર તરફેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 08/2025 હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(ઇ) સાથે સુધારા અધિનિયમ 2018ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ગુનાની તપાસ દાહોદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ડીંડોર કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસની દેખરેખ પંચમહાલ એકમ, ગોધરાના મદદનીશ નિયામક બી.એમ. પટેલ રાખી રહ્યા છે.

લાંચ કેસ બાદ હવે અપ્રમાણસર મિલકતનો વધુ એક ગુનો નોંધાતા શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Most Popular

To Top