Dahod

દાહોદના નકલી એનએ પ્રકરણમાં એકાએક પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો


બદલીઓના હુકમો પહેલા જ દાહોદ પ્રાંત દ્વારા દાહોદ શહેર પોલીસ સ્ટેશનને એક ફરિયાદ તેમજ અન્ય બે સરકારી કર્મચારીઓ દ્વારા નકલી અને પ્રકરણમાં કુલ ત્રણ પોલીસ ફરિયાદો કરતા ચકચાર મચી

દાહોદ એ ડિવિઝન અને દાહોદ બે ડિવિઝન મળી બંને ફરિયાદોમાં મહિલા સહિત 33 વ્યક્તિઓ વિરુદ્ધ બનાવટી પ્રોપર્ટી કાર્ડ તેમજ બિનખેતીના બનાવટી નકલી હુકમો મામલે ગુનો નોંધાયો


દાહોદ શહેરમાં એક તરફ દિવાળીનો માહૌલ છે તો બીજી તરફ દાહોદમાં નકલી એનએ પ્રકરણનો માહૌલ દિવાળી ટાળે ગરમાયો છે. ગતરોજ દાહોદ પ્રાંત અધિકારી તેમજ તેમની સાથે દાહોદ મામલતદારની રાતોરાત બદલી હુકમોને પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં સ્બ્ધતા વ્યાપી જવા પામી છે ત્યારે આવા સમયે દાહોદમાં નકલી એનએ પ્રકરણ સહિત બનાવટી પોપર્ટી કાર્ડ, બીનખેતીના બનાવટી હુકમો મામલે દાહોદ પ્રાંત અધિકારી જેઓએ બદલીના હુકમો પહેલા તેઓની સત્તા છોડતા પહેલા તેમજ અન્ય બે સરકારી કર્મચારીઓએ આ મામલે દાહોદ શહેર એ ડિવીઝન ખાતે તેમજ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે બે ફરિયાદ મળી કુલ ૩ ફરિયાદ નોંધાંવતાં આ ત્રણેય ફરિયાદોમાં મહિલા સહિત કુલ ૩૩ જેટલા વ્યક્તિઓ સામે પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

દાહોદ શહેરમાં ફેક એન એ કૌભાંડની તપાસ બાદ ૨૧૯ જેટલા સર્વે નંબરો શંકાસ્પદ જણાતા તેની ઝીણવટ ભરી તપાસ બાદ તમામ કાગળિયા એફઆઇઆર માટે પોલીસને સુપરત કર્યા બાદ ગઈકાલે દાહોદ પ્રાંત અધિકારીએ એન એના બનાવટી હુકમોને પોતે જાણતા હોવા છતાં તેને સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારી તિજાેરીને રૂપિયા ૨.૮૬ કરોડ ઉપરાંતની રકમનું નુકસાનપહોંચાડી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરનારા દાહોદના એક મહિલા સહિત છ જણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરમાં ફેક એન એ કૌભાંડ બહાર આવ્યા બાદ કથિત કૌભાંડની તપાસમાં ભારે વેગ આવતા અને કેટલાય ચોકાવનારા ખુલાસાઓ થતા મચી ગયેલા ખળભળાટ વચ્ચે ગઈકાલે સદર કથિત કૌભાંડની તપાસમાં જાેતરાયેલા દાહોદના પ્રાંત અધિકારી તેમજ દાહોદ મામલતદારની તપાસ પૂર્ણ થાય તે પહેલા અધવચ્ચે જ બદલી કરી દેવાતા તંત્રમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે દાહોદ ના પ્રાંત અધિકારી એનબી રાજપૂતે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાહોદના એક મહિલા સહિત છ જણા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે દાહોદના મોટા ઘાંચીવાડામાં રહેતા કૈયા યુસુફભાઈ મોહમ્મદ સફી, કૈયા ઈબ્રાહીમ મોહમ્મદ સફી, કૈયા સુલેમાન મોહમ્મદ સફી એમ ત્રણેય જણાએ પોતે તથા અન્ય મળતીયા ઈસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તારીખ ૧૨-૫-૨૦૧૬ થી તારીખ ૪-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન ૩૨૯૩ ક્ષેત્રફળ વાળી દાહોદની સીટી સર્વે નંબર-૧૬૧૮ વાળી જમીન બાબતે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ સીટીએસ/વશી/૪૭૪૨/૨૦૧૬ તારીખ ૧૫-૫-૨૦૧૬નો ફોટો બનાવટી હુકમ બનાવી તે હુકમ ખોટો હોવાનું જાણવા છતાં સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે તેનો ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારને રૂપિયા ૨,૮૬,૪૭,૪૫૦/-જેટલી મોટી રકમનું પ્રીમિયમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. આ જ રીતે દાહોદના ગોધરા રોડ ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, પાર્થ શ્રીકાંત શાહ, તેમજ બીનાબેન શ્રીકાંત શાહ એમ ત્રણેય જણાય પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તારીખ ૨૦-૫-૨૦૧૭ થી તારીખ ૧૪-૭-૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન દાહોદ કસબાની સીટી સર્વે નંબર-૧૬૦૧/૧ અને સીટી સર્વે નંબર-૧૬૦૧/અ/૬ વાળી જમીન બાબતે ખોટો નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ ક્રમાંક સીટીએસ/વશી/૨૪૪૭-૪૯/૧૭ સવાલ વાળી જમીન/મિલકતમાં અરજદાર પાસેથી રૂપિયા ૫૦૦૦/- પુરા વસુલ લઈને સીટી સર્વે નંબર૧૬૦૧/અ/૧ ક્ષેત્રફળ ૭૮૩.૭૫ ચોરસ મીટર પૈકી ૧૨૯.૩૭૫૦ ચોરસ મીટર જમીનમાં સૂચિત ભાગ્યોદય કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દાહોદના સભ્ય બીનાબેન શ્રીકાંત શાહ નું નામ દાખલ કરવા બાબતનો હુકમ ખોટો બનાવટી હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી ઉત્તરોત્તર વેચાણ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે સગાઈ વિશ્વાસઘાત કર્યો હતો.

બીજી પોલીસ ફરિયાદ બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે જેમાં દાહોદના મન્નાનભાઈ તાહેરભાઈ જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીનભાઈ નોમાનભાઈ જીરુવાલા, નિલેશકુમાર ગંભીરસિંહ બળદવાળ, સુલેમાન બેલીમ જામદરખા, નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાભાઈની વિધવા દુખલીબેન, રળીયાતીના માવી દિનેશભાઈ દિતિયાભાઈ, નસીરપુરના કતીજા હુમલાભાઈ કરસનાભાઈ, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગભાઈ કુંવરાભાઇ, ખરોડ ગામના મોતિયાભાઈ સુરપાલભાઈ નીનામા તથા રામપુરા ગામના બદલીબેન માતરાભાઈ મુણીયા વગેરે એ તારીખ ૧૩-૭- ૨૦૦૯ થી તારીખ ૨૮-૧૨-૨૦૧૮ ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે જિલ્લા પંચાયત કચેરી દાહોદના નામના ફરિયાદમાં કોષ્ટકમાં જણાવ્યા મુજબના સર્વે નંબરના બિનખેતીના હુકમો પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી કોષ્ટકમાં જણાવેલ બીનખેતીના/૭૩એએ ના ખોટા બનાવટી હુકમો બનાવી તે હુકમો ખોટા હોવાનું જાણતા હોવા છતાં તે ખોટા હુકમો નો સાચા તરીકે અલગ અલગ કચેરીઓ ખાતે ઉપયોગ કરી સરકાર સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

આ સંબંધે જિલ્લા પંચાયત દાહોદ કચેરીમાં નોકરી કરતા અજયકુમાર બાબુભાઈ પ્રજાપતિએ ઉપરોક્ત દાહોદના નવ જણા સહિત કુલ ૧૩ જણા વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


ત્રીજી પોલીસ ફરિયાદ પણ બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે જેમાં દાહોદના કૃષ્ણકાંત દુર્લભદાસ ગાંધી, નૂરજહાં અસલામ પટેલ, ભારતીબેન કૃષ્ણકાંત ગાંધી, રાજેશ કુમાર કૃષ્ણકાંત ગાંધી, પટેલ બિલાલ વલીભાઈ, સઈદ વલીભાઈ પટેલ, ફિરોજ વલીભાઈ પટેલ, રુકસાના વલીભાઈ પટેલ, નૂરજહાં વલીભાઈ પટેલ, ફાતેમા સલીમ પટેલ, તૌફિક સલીમ પટેલ, હિના સલીમ પટેલ, નરગીશ સલીમ પટેલ તથા જાદરખા રાજબખા બેલીમ એમ કુલ ૧૪ જણાએ તારીખ ૧૯-૧૧-૧૯૭૪ થી તારીખ ૩-૪-૨૦૧૮ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોતે તથા અન્ય મળતીયા ઈસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી ફરિયાદમાં કોષ્ટકમાં જણાવેલ બીન ખેતીના હુકમો ખોટા બનાવટી બનાવી તે હુકમો ખોટા હોવાનું પોતે જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે દાહોદ કલેકટર કચેરી ખાતે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.

આ સંબંધે દાહોદ કલેકટર કચેરીમાં નોકરી કરતા આરએચ શેખે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાહોદના ઉપરોક્ત સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ (૧૨૦) બી. મુજબ ઠગાઈ તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

—————————————————

Most Popular

To Top