અમદાવાદમાં ગત ગુરુવારે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના કુલ 241 લોકોના તથા અન્ય મળીને 270 થી વધુના મોત નિપજ્યાં હતાં તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

(પ્રતિનિધિ) વડોદરા તા.18
ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ થી અમદાવાદ થી લંડન જતા એર ઇન્ડિયા એ આઇ 171 ટેક ઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના 241 લોકો તથા અન્ય મળીને 270 થી વધુના મોત થયા હતા જેના પગલે સમગ્ર દેશ દુનિયામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે ત્યારે વડોદરામાં આગામી તા.27 જૂનના રોજ યોજાનારી 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદગીપૂર્ણ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


અમદાવાદમાં ગત ગુરુવારે બપોરે થયેલી વિમાન દુર્ઘટનામાં વડોદરાના 33 લોકોના મૃત્યુ થયા છે. જેને પગલે અમદાવાદ સાથે વડોદરામાં પણ રથયાત્રા સાદગીપૂર્ણ યોજવાનો નિર્ણય કરાયો છે. ગોત્રી હરિનગર ચારરસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી દ્વારા સાદાઈથી રથયાત્રા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી તા 27 જૂન ને અષાઢી બીજના રોજ રેલ્વે સ્ટેશન પાસેથી બપોરે અઢી વાગ્યે ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા નિકળશે.મંદિર પ્રસાશન દ્વારા માત્ર ભજન કીર્તન રાખવામાં આવ્યું છે તેમજ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરાશે અને ભંડારો કરવામાં આવશે. આ સિવાય કોઈ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. લોકો-ભક્તો ભજન-કીર્તન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ શકે છે. અત્રે ઉલ્લેખની છે કે, 27 તારીખના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે. જે અંગે છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ હાથ ધરવામાં -આવી છે. તાજેતરમાં જ ભગવાનની સ્નાન યાત્રા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં -આવ્યા છે. ભગવાનની બીમારીના કારણે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની જળયાત્રા બાદ કપાટ બંધ કરાયા હતા. પરંતુ ગત ગુરુવારે અમદાવાદમા અમદાવાદ થી લંડન જતા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના દુઃખમાં સહભાગી થતા મંદિર દ્વારા માત્ર ધર્માર્થે રથયાત્રા યોજવામાં આવશે અને ધાર્મિક પ્રવૃત્તિ સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું છે