Vadodara

તળાવોના ડ્રેજિંગના દાવા ધૂળધાણી, માત્ર 7નું જ ડ્રેજિંગ કરાયું !

અધિકારીઓની બેદરકારીથી ચોમાસા પહેલાં તળાવો ઓવર ફલો થવાની ચિંતાઓ ઘેરાઈ

તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ચોમાસા પહેલા તમામ તળાવોનું ડ્રેજિંગ કરી ખાલી કરવા સૂચન કરાયું હતું

વડોદરા શહેરમાં ગતવર્ષે આવેલા પૂર બાદ શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત વિવિધ કામગીરી કરવા માટે નવલવાલા કમિટીએ કરેલા સૂચનો મુજબ શહેર અને તેની આસપાસના તળાવો, કાંસો સહિત વિવિધ કામગીરી કરવા જણાવાયું હતુ. જે પૈકી શહેરના 40 તળાવોના ડ્રેજિંગની કામગીરી કરવાનું પણ નક્કી કરાયું હતું. જે તે સમયે જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ તળાવોના પાણી ખાલી કરાવવા સૂચના આપી પરંતુ કેટલીક જગ્યાએ તળાવો ખાલી કરવા મામલે વિરોધ થતા કામગીરી અટકી પડી હતી. આજે આટલા સમય બાદ પણ આ 40 તળાવો પૈકી માત્ર 7 જેટલા જ તળાવો ખાલી થઈ શક્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે આ તળાવોના ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરવાની વાત પણ જે તે સમયે કરવામાં આવી હતી. આ તળાવોના ડ્રેજિંગનો મુખ્ય હેતુ એ હતો કે, ચોમાસા પહેલા આ તળાવોના પાણી ખાલી કરી દઈ તેમાં ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન તળાવોમાં ભરાતા પાણીથી જે તે વિસ્તારના લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. ચોમાસા દરમિયાન તળાવો ઘણા વિસ્તારમાં ઓવર ફલો થતા હોય છે અને આસપાસના વિસ્તારોમાં આ તળાવના પાણી ફરી વળતા હોય છે. પરંતુ અધિકારીઓને નિષ્કાળજીને લીધે આજે 40 પૈકી માત્ર 7 જ તળાવો ખાલી થઈ શક્યા અને ડ્રેજિંગની કામગીરી કરાઈ છે.

ચોમાસા પહેલા શહેરના તમામ તળાવોના પાણી ખાલી કરી તેમાં ડ્રેજિંગની કામગીરી ઝડપથી થાય તે માટે આ કામગીરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે જ શરૂ કરાઈ હતી. આ ડ્રેજિંગની કામગીરી પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે પૂર્ણ થાય તેવી રીતે કામગીરી કરવા માટે જે તે સમયે આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ અધિકારીઓની બેદરકારીને લીધે આ વર્ષે પણ 40 તળાવો પૈકી 33 જેટલા તળાવો ઓવર ફલો થઈ શકે એવી શકયતા છે. ચોમાસાની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ તળાવોના પાણી ખાલી કરવાની કામગીરી અને ડ્રેજિંગની કામગીરી ક્યારે થશે તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે.


40 તળાવો પૈકી માત્ર 7 જ તળાવોમાં ડ્રેજિંગની કામગીરી કરાઈ છે જ્યારે 26 તળાવ એવા છે જેમાં હજુ પાણી ભરેલું છે અને તેને ખાલી પણ કરવામાં આવ્યા નથી. આગામી ચોમાસા પહેલા આ તળાવો ખાલી કરી તેની ડ્રેજિંગની કામગીરી નહીં કરાય તો આ વર્ષે પણ જે તે વિસ્તારોમાં આ તળાવના પાણી ફરીવળે તેવી શક્યતા સેવાઈ રહી છે.

તળાવનના નામ

  1. કાળાણાગર તળાવ
  2. કરજણ તળાવ
  3. ગોરા તળાવ
  4. સન્યાસ આશ્રમ તળાવ
  5. માણજીપુર તળાવ
  6. મકરપુરા તળાવ
  7. ગોરવા તળાવ
  8. કીરત તળાવડી તળાવ (અલકાપુરી)
  9. સૌમ્યજૂન તળાવ
  10. શુભાનપુરા તળાવ
  11. કળાલી ગામ તળાવ
  12. મકરપુરા તળાવ
  13. મહાવીર તળાવ
  14. ધૂણા ગામ તળાવ
  15. માધોપુર ગામ તળાવ
  16. ખોડિયારનગર તળાવ
  17. મહાવીરનગર તળાવ (ટાંકા)
  18. નવો ભાલા તળાવ
  19. હનુમાન તળાવ
  20. બીમ તળાવ
  21. લક્ષ્મીપુર તળાવ
  22. વાસણા ગામ તળાવ
  23. મકરપુરા તળાવ
  24. સુરસાપોર તળાવ
  25. તરસાલી તળાવ
  26. અખલોડિયા તળાવ
  27. મેડી ભાલા તળાવ
  28. કુંડલ તળાવ
  29. જુની માતા તળાવ
  30. વાઘડીયા તળાવ
  31. વાંસિયા તળાવ
  32. રામનગર તળાવ
  33. વીણા તળાવ
  34. પડેદ્રા પાદ તળાવ
  35. સરસિયા તળાવ
  36. વટાવસ તળાવ
  37. તાંડેજા ગામ
  38. સત્યાનગર તળાવડી
  39. તાલાવડી તળાવડી
  40. ઓદેરા તળાવ

Most Popular

To Top