Dahod

ઝાલોદમાં મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે કરાયેલી તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા

દાહોદ, તા. 4 |

રાજ્યમાં **SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)**ની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત બાદ વિવિધ વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા છે. તે જ ક્રમમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મતદાર યાદીમાં વ્યાપક ગેરરીતિ થયાની ફરિયાદો બાદ ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર કરાયેલી તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
ઝાલોદમાં કુલ 2,832 મતદારોના નામ રદ કરવા માટે વાંધા અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓની સત્યતા જાણવા માટે સ્થળ મુલાકાત લેવામાં આવી ત્યારે વાંધા અરજીમાં જે મતદારોને ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યા હતા, તે મોટાભાગના મતદારો પોતાના નિવાસસ્થાને જ હાજર મળી આવ્યા હતા.
તપાસમાં ખુલ્યું છે કે માત્ર ચાર અરજદારો દ્વારા કોઈ નક્કર આધાર કે પુરાવા વિના હજારો મતદારોના નામ સામે વાંધા અરજીઓ કરવામાં આવી હતી, જે લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર બાબત ગણાઈ રહી છે. વર્ષોથી એક જ સ્થળે રહેતા નાગરિકોને ગેરહાજર દર્શાવવાનું આ કૃત્ય લોકોએ લોકશાહી વિરોધી ગણાવ્યું છે.
આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક સામાજિક સંગઠનો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાયા વિહોણી અને ખોટી વાંધા અરજીઓ કરનાર શખસોની ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ કરવામાં આવી છે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને સાચા મતદારોના નામ સુરક્ષિત નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર જનઆંદોલન અને સરકારી કચેરીના ઘેરાવની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ બાબતે ઝાલોદના પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાએ જણાવ્યું હતું કે,
“વાંધા અરજીઓ બાબતે બીએલઓને ચેકલિસ્ટ આપી દેવામાં આવી છે. સ્થળ પર મતદાર હાજર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સાચા મતદારોના નામ કાપવામાં નહીં આવે. સાચા મતદારોને ગભરાવાની કોઈ જરૂર નથી.”
સ્થાનિક મતદાર આરીફભાઈએ જણાવ્યું હતું કે,
“અમારા પરિવારના ફોર્મ બીએલઓને આપ્યા બાદ પણ આજે ખબર પડી કે અમારા સામે ખોટી વાંધા અરજી કરવામાં આવી છે. આવા અરજદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
જ્યારે પીપળીયા ગામના એક સ્થાનિક મતદારે જણાવ્યું હતું કે,
“હું વર્ષોથી પીપળીયામાં જ રહું છું. મારા પરિવારના ચાર સભ્યો સામે કરાયેલ વાંધો સંપૂર્ણ ખોટો છે. હું પોતે ચૂંટણી પ્રક્રિયામાં બીએલઓના સહાયક તરીકે કામ કરું છું. આવા અરજદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ.”

રિપોર્ટર:;વિનોદ પંચાલ

Most Popular

To Top