દાંડિયા બજાર–વાઘવા રોડ ચાર રસ્તા પાસે ગ્રામ પંચાયતનું બેદરકાર વલણ સામે આવ્યું
વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં: સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ
ગુજરાત મિત્ર, જેતપુરપાવી:
જેતપુરપાવી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લા પડેલા ચેમ્બરો સ્થાનિકો માટે ગંભીર જોખમરૂપ બન્યા છે. દાંડિયા બજારથી વાઘવા રોડ ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઇનના વાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બર લાંબા સમયથી ખુલ્લી અવસ્થામાં હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આજે તારાપુર તરફથી આવતી એક ઇકો ગાડી અચાનક ખુલ્લા ચેમ્બરમાં ફસાઈ જતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સદનસીબે ગાડીમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરમાં અનેક સ્થળોએ ખુલ્લા ચેમ્બરો લાંબા સમયથી પડ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ઢાંકણાં મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
સ્થાનિકોએ તાત્કાલિક ખુલ્લા ચેમ્બરો પર ઢાંકણાં મુકવા અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠાવી છે.