જેતપુરપાવી |
જેતપુરપાવી ખાતે નવીન જેતપુર ગ્રામ પંચાયત સચિવાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતને વધુ સુવિધાસભર, આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે આ સચિવાલયનું નિર્માણ થવાનું છે.
નવિન સચિવાલયનું નિર્માણ અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે કરવામાં આવશે અને આગામી ત્રણ મહિનાની અંદર કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. સચિવાલય તૈયાર થતાં ગ્રામજનોને વિવિધ વહીવટી સેવાઓ માટે એક જ છત નીચે સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેનાથી સમય અને મહેનત બંનેની બચત થશે.

આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ નેન્સીબેન શાહ સહિત ગામના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મૂકાતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ નવું સચિવાલય ગ્રામજનો માટે લાભદાયી અને વિકાસનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર: આરીફભાઈ