Jetpur pavi

છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર સફેદ રેતી ખનન મામલે ખનીજ વિભાગની રેડ, અધિકારીઓ મૌન રહેતા ઉઠ્યા સવાલો

એવુંતો શું થયું હશે જેને લઇ ખનીજ અધિકારીઓ મૌન થઇ ગયા..!!

ગુજરાત મિત્ર, જેતપુરપાવી :
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા સફેદ રેતીના ખનન મામલે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દેવળીયા,મેસરા ગામ ખાતે અચાનક રેડ પાડવામાં આવી હતી. પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી હતી.

મળતી માહિતી અનુસાર, ટીમ સ્થળ પર પહોંચી ખનીજ સંબંધિત પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરી હતી અને સ્થળની વિગતવાર ચકાસણી હાથ ધરી હતી. જોકે, જ્યારે ખનીજ અધિકારીઓને. મીડિયા દ્વારા રેડ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ સ્પષ્ટ જવાબ આપવાના બદલે ગોળમટોળ જવાબ આપ્યા અને સ્થળ પરથી નીકળી ગયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રેડ પાછળનું સાચું કારણ શું હતું, તપાસમાં શું બહાર આવ્યું અને ગેરકાયદેસર ખનન સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

હાલ સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે ખનીજ વિભાગની કામગીરી અને પારદર્શિતાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top