Vadodara

ગોરવા વિસ્તારમાં નવી પાણીની લાઈન સાથે જોડાણના કામને પગલે પાણી કાપ

27 અને 28 જાન્યુઆરીએ અનુક્રમે સાંજના અને સવારના પાણી વિતરણમાં વિલંબની શક્યતા

કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા દ્વારા જનકપુરી સુધીની નવીન 400 મીમી વ્યાસની પાણીની નલિકાને ટાંકી ખાતેની હયાત ડિલિવરી લાઈન સાથે જોડવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી 27 જાન્યુઆરી, 2025, સોમવારના રોજ સવારના પાણી વિતરણ બાદ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યના કારણે 27 જાન્યુઆરીના સાંજના સમયે ગોરવા પાણીની ટાંકીથી વિતરણ થતા કેટલાક ઝોનમાં પાણીની ઉપલબ્ધિ પર અસર થઈ શકે છે. મુખ્ય અસર પડનારા વિસ્તારોમાં બપોરે 4 થી 5 વાગ્યાની વચ્ચે ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્સ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ અને આઈટીઆઈ પાસેનો વિસ્તાર શામેલ છે.

ત્યારે સાંજે 6 થી 7 વાગ્યાના પાણી વિતરણ પર અસર પામનારા વિસ્તારોમાં ગોરખનાથ મહાદેવ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફનો વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈટીઆઈ ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તા સુધીની જમણી બાજુ, તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા સુધીનો સમગ્ર વિસ્તારમાં અસર રહેશે.

કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારના પાણી વિતરણ નિર્ધારિત સમય કરતા વિલંબથી શરૂ થશે અને તે પણ ઓછા દબાણે અને ઓછા સમય માટે પૂરુ પાડવામાં આવશે.

Most Popular

To Top