Vadodara

ગોરવાના સોફિયા પાર્કમાં રહેતા પરપ્રાંતીય યુવક દ્વારા પત્નીની હત્યા

ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતા પરપ્રાંતિય પતિએ લોખંડના તવાના ઘા મારી પત્ની હત્યા કરી

‘પપ્પા મને લેવા માટે આવો નહીં તો આ લોકો મને મારી નાખશે’ તેમ ફોન પર પિતાને કહ્યું ને દીકરી લોહીથી લથપથ રસ્તામાં મળી

પતિ છેલ્લા એક વર્ષથી મારઝૂડ કરતો હોવાનું તથા દહેજ માટે અવારનવાર નાણાં માંગણી કરતો હોવાના પિતાના આક્ષેપો

નવા કાયદા હેઠળ વડોદરામાં હત્યાનો પ્રથમ ગુનો નોંધાયો

વડોદરા શહેરના મધુનગર બ્રિજ પાસે આવેલી સોફિયા પાર્ક સોસાયટીમાં પતિ સાથે રહેતી પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઇ ગયો છે. જેને પગલે ગોરવા પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. દીકરીએ પિતાને ફોન કરીને કહ્યું કે, ‘પપ્પા મને લેવા માટે આવો નહીં તો આ લોકો મને મારી નાખશે’ અને પિતા દીકરીને લેવા નિકળ્યા હતા અને રસ્તામાં જ દીકરીની લોહીથી લથપથ રસ્તામાં મળી હતી અને સારવાર દરમિયાન દીકરીનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર,મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજના અને હાલમાં નવાયાર્ડ ખાતે રહેતા પાસે મૃતક નિશારબાનુના પિતા ઇશ્રાઇલ ઇશરક પઠાણે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની ચોથા નંબરની દીકરી નિશારબાનુના લગ્ન સોફિયાપાર્ક,મધુનગર બ્રિજ પાસે,ગોરવામાં રહેતા મોઇનખાન ભુરેખાન પઠાણ સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં ત્રણ વર્ષનું બાળક છે. મોઇનખાન ફેબ્રિકેશનનુ કામ કરે છે. લગ્ન પછી મોઇનખાન કોઈને કોઈ બહાને મોઇનખાન તેમની દીકરી નિશારબાનુ સાથે છેલ્લા એક વર્ષથી ઝઘડો અને મારપીટ કરતો હતો. જો કે, દીકરીનુ પરિવાર સચવાઇ રહે તે માટે માતા-પિતા તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી દેતા હતા.લગ્ન સમયે જમાઇએ બાઇકની માગણી કરતા તે પણ અપાવી હતી. છતાં મોઇનની માગણીઓ સંતોષાઇ નહોતી અને તે અવારનવાર રૂપિયાની માંગણી કરીને તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. 3 મહિના પહેલા મોઇન તેની સાસરીમાં જઇને ‘મારે 22 હજાર રૂપિયાની જરૂર છે તમે મને આ રૂપિયા નહીં આપો તો હું તમારી દીકરીને તમારા ઘરે મુકી જઇશ, મારી સાથે રાખીશ નહીં’ તેમ જણાવી જતો રહ્યો હતો. આમ દહેજની માંગણી ન સંતોષાતા મોઇન નિશારબાનુને હેરાન પરેશના કરતો હતો.
આ દરમિયાન ગત 27 જૂનના રોજ રાત્રિના 11.30થી 11.45 વાગ્યાની વચ્ચે નિશારબાનુએ તેના પિતાને ફોન કરી જણાવ્યું હતુ કે, ‘પપ્પા મને લેવા માટે આવો નહીં, તો આ લોકો મને મારી નાખશે’ દીકરીની વાત સાંભળીને પિતા તાત્કાલીક તેના ઘરે જવા માટે નિકળ્યા હતા. આ સમયે નવાયાર્ડ બ્રિજ પાસે નિશારબાનુ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેને પકડતા માથામાંથી લોહી નિકળતુ હતુ. પિતાએ આ અંગે પૂછતાં નિશારબાનુએ જણાવ્યું હતું કે, ‘મારા પતિએ મને માથાના ભાગે લોખંડનો તવો મારી દીધો છે’. જેથી ઇજાગ્રસ્ત દીકરીને સારવાર આર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. જેને પગલે ગોરવા પોલીસે આ મામલે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 103(1),85,3,7 અને 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.

.

Most Popular

To Top