Charotar

ગળતેશ્વરના ખાખરીયામાં દોઢ વર્ષીય બાળક ચાંદીપુરાના ભરડામાં આવ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.22

ખેડા જિલ્લામાં ચાંદીપુરાના વાયરસે કહેર મચાવ્યો છે. એક પછી એક નવા કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે અને લોકોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા બાદ હવે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં ગળતેશ્વરના ખાખરીયામાં દોઢ વર્ષીય બાળક ચાંદીપુરમના ભરડામાં આવ્યુ છે. જેના કારમે કુલ કેસોનો આંકડો 6 પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં આજે ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષીય બાળકને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં આ રોગની વાત કરીએ તો અત્યાર સુધીમાં છ દર્દીઓ નોંધાયા છે જે પૈકી એકનું મૃત્યુ થયું છે. સૌપ્રથમ નોંધાયેલા દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે સીરમ રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હોવાનું  જાણવા મળે છે. જ્યારે અન્ય બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે હજુ ચાર દર્દીઓના રિપોર્ટ પેઈન્ડીગમા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વી. એસ. ધ્રુવે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે,, જો કોઈ બાળકને  સખત તાવ આવે ઝાડા-ઉલ્ટી થાય, ખેંચ આવવી અર્ધ બેભાન કે બેભાન થાય તો તરત તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી દેવો. જેથી કરીને તરત સારવાર મળી શકે. તેમજ પ્રજાએ કેટલીક તકેદારી રાખવી જોઈએ જેમકે એન્સેફીલાઇટીસ નામનો તાવ બાળકોને પ્રારંભિક તબક્કામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ. જરૂરી રિપોર્ટ કરાવવા જોઇએ, આ વાયરસનો ફેલાવો મચ્છર તેમજ સેન્ડફલાઇ એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરૂરી છે. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવાઉજાસ (સૂર્યપ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવી. હાલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામેગામ અને તાલુકા મથકોએ વિવિધ તકેદારીના પગલા ભર્યા છે.જેમાં આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે કુલ 500 વ્યક્તિઓની ફૌજને વિવિધ કામગીરીની સોંપણી કરી છે. જે ફીલ્ડ પર પહોંચી તકેદારીના ભાગરૂપે કામગીરી કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ અને ખાસ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં દવાનો છંટકાવ, ફોગીગ સહિત સર્વેની કામગીરી હાથ ધરી છે.

Most Popular

To Top