પ્રતિનિધી ગોધરા તા.30
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ વિસર્જનને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અંકુર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ દળોએ શહેરાના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો હેતુ ગણેશ વિસર્જનના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.

પોલીસ સ્ટેશનથી શરૂ થયેલું આ ફૂટ પેટ્રોલિંગ મેન બજાર, હોળી ચકલા અને બસ સ્ટેશન જેવા ગણેશ વિસર્જનના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. આ દરમિયાન પોલીસે વિસર્જન યાત્રામાં ભાગ લેનારા લોકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષા અંગે ખાતરી આપી હતી. પોલીસના આ પગલાથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી અને વિસર્જનના કાર્યક્રમમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
