
કાલોલ, તા. ૨૮/૦૨/૨૦૨૬
ગોધરા તાલુકાના નાની વટલાવ ગામે ખેતરમાં સાપ કરડતા ૪૫ વર્ષીય ખેડૂતનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ નાની વટલાવ ગામના ગુલાબસિંહ ઉદેસિંહ પરમાર (ઉંમર ૪૫) શનિવારે સવારે આશરે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન ઘર નજીક આવેલા પોતાના ખેતરમાં લાકડા લેવા ગયા હતા.
ખેતરના શેઢા પાસે ઘાસમાંથી અચાનક સાપે કરડતા તેઓ તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા અને પરિવારજનોને ઘટનાની જાણ કરી પાણી માંગ્યું હતું. થોડું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી જતાં બેભાન હાલતમાં તેમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટરે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર નરેન્દ્રકુમાર ગુલાબસિંહ પરમારે વેજલપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ એડી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.