વડોદરા–મુંબઈ એક્સપ્રેસવેનો પેકેજ-5 (કિમ–અંકલેશ્વર) 31 ડિસેમ્બર સુધી ખુલવાની શક્યતા
NHAIના રિજિયોનલ હેડ સુનીલ યાદવ 30 ડિસેમ્બરે કરશે સાઇટ વિઝિટ, શરૂઆતમાં નાના વાહનોને મંજૂરી મળવાના સંકેત
ભરૂચ, તા.29 :
દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા–મુંબઈ સેક્શનના પેકેજ-5 અંતર્ગત આવતો બહુપ્રતિક્ષિત કિમ–દહેગામ (અંકલેશ્વર નજીક) સ્ટ્રેચ તા.31મી ડિસેમ્બર સુધીમાં જાહેર ઉપયોગ માટે ખુલવાની પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ અંગે અંતિમ નિર્ણય પહેલા તા.30મી ડિસેમ્બરે National Highways Authority of India (NHAI)ના રિજિયોનલ હેડ સુનીલ યાદવ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જો સાઇટ વિઝિટ દરમિયાન તમામ માપદંડ સંતોષકારક જણાશે, તો 31મી ડિસેમ્બરના રોજ પ્રારંભિક તબક્કે નાના વાહનો માટે એક્સપ્રેસવે ખુલ્લો મૂકવાની શક્યતા છે. આ અપડેટ સુરત સ્થિત NHAIના પ્રોજેક્ટ અમલીકરણ એકમ (PIU) દ્વારા CPGRAMS પોર્ટલ પર નોંધાયેલી જાહેર ફરિયાદના જવાબમાં આપવામાં આવી છે.
NHAIના જણાવ્યા મુજબ, વડોદરા–મુંબઈ એક્સપ્રેસવેનો પેકેજ-5, જે કિમથી દહેગામ સુધીનો પટ આવરી લે છે, તેમાં કામગીરી સતત આગળ વધી રહી છે અને મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા અને સુરત શહેરો પહેલેથી જ નેશનલ એક્સપ્રેસવે-1 તથા અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવે દ્વારા જોડાયેલા છે, જ્યારે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા–વિરાર સેક્શનના પેકેજ 1થી 6 પૈકી પેકેજ-5 એકમાત્ર એવો વિભાગ છે જે હજી સુધી જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકાયો નથી.
ભરૂચ જિલ્લામાં આવેલા કિમ ઇન્ટરચેન્જથી અંકલેશ્વર વિભાગમાં ચોમાસા બાદ કામે ગતિ પકડતા, રવિવાર સુધીમાં રોડ લગભગ કિમ સુધી તૈયાર થઈ ગયો હોવાનું સૂત્રો જણાવે છે. મોટાભાગની ટ્રાન્સમિશન લાઈનોનું સ્થળાંતર પૂર્ણ થઈ ગયું છે, જો કે એક બાકી રહેલો પોલ હજી એલાઈન્મેન્ટ સાથે ઉભો છે. આ પોલ દૂર થયા બાદ અંતિમ પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (PQC)નું કામ હાથ ધરાશે.
પેકેજ-5 કાર્યરત થતાં જ વડોદરા અને સુરત વચ્ચે અવિરત એક્સપ્રેસવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ વિકાસ અમદાવાદથી નવસારી સુધી એક્સપ્રેસવે મુસાફરીને જોડશે, મુસાફરીનો સમય ઘટાડશે અને ગુજરાતની ઔદ્યોગિક તથા લોજિસ્ટિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે.