Kalol

કાલોલ તાલુકામાં મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી પેમેન્ટ નહિ ચૂકવવા માંગ

કોંગ્રેસ દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત
કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અરજી અપાઈ
કાલોલ:
એક તરફ ગુજરાત રાજ્યના દરેક ગામે ગામ મનરેગામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે. જેમાં કેટલાક કામોમાં માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવી એજન્સીઓ દ્વારા પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું. કેટલાક અધિકારીઓની મિલી ભગતથી સ્થળ તપાસ કર્યા વિના કાગળો ઉપર કામો દેખાડી સરકારી નાણાંની ઉચાપત કરી સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરી પોતાની તિજોરીઓ ભરી છે. જેમાં રાજકીય નેતા સહિત અનેક લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં દાહોદમાં મંત્રીના પુત્રો પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા અને જેલની હવા પણ તેઓએ દેખી લીધી છે. પંચમહાલ જીલ્લામાં પણ મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને વિરોધ પક્ષના રાજકીય નેતા તેમજ જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવે છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ ટીમોની રચના કરી તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે પંચમહાલ જીલ્લામાં પણ ઘણા સમયથી મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવે છે જ્યારે પણ કોઈ અધિકારી તપાસના આદેશ આપે છે. જાતે તપાસ કરે ત્યારે રાજકીય નેતા તેઓને બાનમાં લઈ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી કાગળો ઉપર તપાસની કામગીરી બતાવી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવે છે. આજદિન સુધી પંચમહાલ જીલ્લામાં કોઈપણ ભ્રષ્ટાચારી અધિકારી તેમજ એજન્સી ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી પંચમહાલ જીલ્લામાં પણ મનરેગા યોજનાઓની તપાસ કરવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એચ ટી મકવાણા જેવા જાંબાઝ અધિકારી ની નિમણૂક કરવામાં આવે તો સાચી દિશામાં તપાસ થાય અને કોઈપણ ચમરબંદીથી ડર્યા વગર નિસ્વાર્થ કામ કરી કરી ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી ભ્રષ્ટાચારી ઓમાં ડર પેદા કરે. જેથી ફરી કોઈ સરકારી નાણાંની ઉચાપત કે ભ્રષ્ટાચાર ના આચરે તેવા હેતુથી કાલોલ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર અને કિરણભાઈ પરમાર દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

કાલોલ તાલુકા ના ગામોમાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી પેમેન્ટ નહિ ચૂકવવા રજુઆત કરવામાં આવી છે. કાલોલ તાલુકાના ગામોમાં મનરેગા યોજનાના કામો માં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરેલી હોવાથી મનરેગા યોજનામાં સરકારના નિયમોનુસાર અને ધારા ધોરણ પ્રમાણે કામો થયેલા નથી. જેથી તમામ કામોના નાણાં ચુકવવામાં ના આવે તેવી માંગ કરવામાં છે. તેમ છતાં ચુકવવામાં આવશે તો તે તમામ પ્રકારની જવાબદારી કાલોલ તાલુકા વિકાસ અધિકારીની રહેશે તેવું લેખિતમાં જણાવાયુ છે .

જેથી હવે જોવાનું એ રહયું કે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાહોદ તેમજ ભરૂચની જેમ તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કે પછી છુપા છુપીનો ખેલ ખેલાશે ?

Most Popular

To Top