કાલોલ :
મંગળવારે રાત્રિના નવ કલાકે કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો, ત્યારે એમજીવીસીએલનો સ્ટાફ મરામત કરવામાં લાગેલો હતો., તે સમયે જ કાલોલ નગરની બીજી સોસાયટીમાંથી પણ વીજ પુરવઠા બંધ થઈ જવાની ફરિયાદો ઉઠતા સંખ્યાબંધ નાગરિકો ફરિયાદ માટે ફોન કરતા હતા. પણ ફરિયાદના ફોન સતત એન્ગેજ આવતા હતા. વીજ પુરવઠો બંધ થઈ જવાની ફરિયાદ લઇને સ્થાનિક લોકો એમજીવીસીએલ કચેરીમાં આવી પહોંચ્યા હતા. જ્યાં કચેરી સૂમસામ જોવા મળી હતી. જેથી નાગરિકો વૈભવ લક્ષ્મી સોસાયટીમાં મેન્ટેનન્સ ચાલતું હતું ત્યાં આવી પહોંચ્યા હતા. કાલોલની શંકર નગર સોસાયટીમાં આવેલા એમજીવીસીએલના ડીપી ઉપર લોડ વધી જવાથી છેલ્લા દસ દિવસથી રાત્રિના સમયે લાઇટ બંધ થઈ જવાનું તેમ જ ડીમ થઈ જવાનો પ્રશ્ન ઊભા થયા છે. સ્થાનિકોએ આ બાબતે સંખ્યાબંધ નાગરિકોની સહી કરાવી લેખિતમાં અરજી પણ આપી છે. તેમ છતાં પણ લોડ વધારવાનું અથવા તો આ ડીપી ઉપરની બીજી સોસાયટીને અલગ ડીપી આપવાનું કોઈ આયોજન કરવામાં આવતું નથી. એના પરિણામે દ્વારકેશ નગર સોસાયટીના બે રહીશોના એસી ઉડી જવા પામ્યા હતા. દ્વારકેશ નગર સોસાયટી ઉપરાંત સ્વામિનારાયણ સોસાયટી અને કંચન નગર સોસાયટી તેમજ શ્રીનાથ સોસાયટીમાં અને દેલોલ ખાતે પણ લાઈટ બંધ થઈ જવાથી સંખ્યાબંધ રહીશો વૈભવ લક્ષ્મી સોસાયટી ખાતે એકત્ર થયા હતા. જ્યાં મોડી રાત્રે 2:30 કલાકે ફોલ્ટ શોધવામાં એમજીવીસીએલનો સ્ટાફ સફળ થયો હતો. તે દરમ્યાન વીજ ધાંધિયાથી પરેશાન લોકો સાથે સ્ટાફ ઈનચાર્જને બોલાચાલી થઈ હતી. રાત્રે દરમ્યાન મેન્ટેનન્સ માટે ફક્ત ત્રણ ચાર કર્મચારીઓ જ રાખેલા છે. સમગ્ર સબ ડિવિઝનમા રાત્રી દરમિયાન ફોલ્ટ થાય તો આટલો ઓછો સ્ટાફ કેવી રીતે પહોંચી શકે તે પણ મોટો પ્રશ્ન છે.