વકીલો દ્વારા એડવોકેટ એક્ટ 2025ના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી
(પ્રતિનિધિ) કપડવંજ તા.20
કપડવંજના વકિલો દ્વારા ગુરૂવારના રોજ એડવોકેટ એક્ટ 2025ના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
કપડવંજ બાર એસોસિએશનના પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં એડવોકેટ એક્ટ-2025માં સુધારા બાબતે હાજર રહેલા હોદ્દેદારો પૈકી સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં એડવોકેટ એકટ-2025 પ્રમાણે બિલમાં જે સુધારાઓ કરવામાં આવ્યો છે, જે વકીલ વ્યવસાયને તથા વકીલોના હિતને નુકસાન કરે તેવા હોય તાત્કાલિક અસરથી એડવોકેટ એક્ટ-2025 બિલમાંથી વાંધાજનક જોગવાઈઓ રદ કરી વકીલ હિતની જોગવાઈઓ ઉમેરવા માટે કેટલાક સૂચનો તૈયાર કરી સૂચનાવલી બનાવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલવી આના અનુસંધાનમાં ગુરુવારે કપડવંજ બાર એસોસિએશનના તમામ વકીલોએ કાળી પટ્ટી બાંધી એડવોકેટ એક્ટ-2025ના પ્રપોઝ બિલ રજુ ન થાય તે અંગેનો પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં બાર એસોસિએશન પ્રમુખ ટી.જે.મલેક, ઉપપ્રમુખ મનન ઇનામદાર, સેક્રેટરી પી.એચ.ઝાલા, જોઈન્ટ સેક્રેટરી ભાવિક ભટ્ટ સહિતના સિનિયર વકીલોએ ઉપસ્થિત રહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
