રહીશોમાં ભય અને રોષ
બ્રોકરો અને કાયદાકીય પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માંગતા સોસાયટી સભ્યો, તંત્ર પાસે તપાસની માંગ
મિલકત ટ્રાન્સફર અંગે રહીશોની ગંભીર રજૂઆત
(પ્રતિનિધિ), વડોદરા. તા. 23
વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી આનંદવન સોસાયટી (સ્પ્રિંગવુડ રેસીડન્સી–2)માં ‘અશાંતધારા’ હેઠળ આવતી એક મિલકતના ટ્રાન્સફર મુદ્દે રહીશોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે મકાન નં. ડી/2 સંબંધિત મિલકતના સોદા અને કબજો સોંપવાની પ્રક્રિયા કાયદાકીય મંજૂરી વગર આગળ ધપાવવામાં આવી રહી છે.
રહીશોનું કહેવું છે કે અશાંતધારા (Disturbed Areas Act) હેઠળ આવતાં વિસ્તારોમાં મિલકતના વેચાણ અથવા ટ્રાન્સફર માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત હોય છે. તેમ છતાં પરવાનગી વગર જ કબજો સોંપવાની હિલચાલ થઈ રહી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોસાયટી એસોસિએશનના સભ્યોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી બ્રોકરો અને સંબંધિત વ્યક્તિઓ સોસાયટીમાં આવીને રહેવાસીઓ સાથે મિલકત વેચાણ અંગે સંપર્ક કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં અસ્વસ્થતા ફેલાઈ છે. રહીશો આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે તંત્ર પાસે સ્પષ્ટતા અને કાયદાકીય તપાસની માંગ કરી રહ્યા છે.
રહીશોએ જણાવ્યું છે કે અગાઉ પણ આ મુદ્દે નાયબ કલેક્ટર કચેરી તેમજ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા સોસાયટીના લોકોમાં ચિંતા વધી છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્રને વિનંતી કરી છે કે અશાંતધારા હેઠળ આવતી મિલકતોના ટ્રાન્સફર અંગે કાયદાકીય પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવામાં આવે અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. જરૂરી કાર્યવાહી નહીં થાય તો આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.