વીજપુરવઠો ખોરવાતા અંધારપટ, શ્રદ્ધાળુઓમાં ગભરાટ
ખરાબ હવામાનને કારણે પરિક્રમા સ્થગિત કરી ફરી શરૂ કરાઈ
વડોદરા: ઉતરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે સમગ્ર આયોજન ખોરવાઈ ગયું છે. ભારે પવનના કારણે પરિક્રમા માર્ગ પર બનાવાયેલા મંડપ અને ટેન્ટ ઉડી જવાના બનાવો બન્યા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માહિતી મુજબ, પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા અને તેમના માટે તંબુ, લાઈટ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પરંતુ અચાનક પવનની તેજ ગતિ અને ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ફૂંકાતા તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વીજ પુરવઠો બંધ થતાં અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા પરિક્રમા થોડો સમય પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવી તમામ ભક્તોને પરિક્રમામાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી છે. જોકે, રાતે 10.30 વાગ્યા પછી સાવધાની સાથે યાત્રા શરૂ કરવામાં આવી હતી.