Vadodara

આગામી ગુરુવારે પાલિકાની સામાન્ય સભા યોજાશે

પાણી મામલે પાલિકાની સભામાં તોફાની ચર્ચાની શક્યતા

સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે તીખી ચર્ચા થવાની આશંકા

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી ગુરુવારના રોજ મળવાની છે, અને ઉનાળાની શરૂઆતથી જ પાણીની અછતના મુદ્દે ઉઠેલા પડઘાંને લઈ આ બેઠક અત્યંત ઉગ્ર બનવાની સંભાવના છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી શહેરના અનેક વિસ્તારોમાંથી પાણીના પ્રશ્ને લોકોએ વિરોધ નોંધાવ્યા છે. રસ્તા પર ઉતરી રહેલા નાગરિકો પાણીના નિયમિત પુરવઠાની માંગ સાથે પાલિકા સામે ખડકાયા છે. આ મુદ્દાને વધુ ગંભીર બનાવતાં, પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે પાલિકાને ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપવા માંગ કરી છે, જેમાં વ્યક્તિ દીઠ દિનચરિયામાં કેટલા લિટર પાણીની ઉપલબ્ધતા રહે છે? પ્લિન્થ લેવલથી ઉપરના માળે રહેવાસીઓને પાણી પૂરું પડે છે કે નહીં? દરરોજ કેટલાં કલાક માટે પાણી પુરવઠો થાય છે અને તેનું ગુણવત્તા ધોરણે સ્વાદ, રંગ અને ગંધ કેવો છે?

વડોદરામાં દર વર્ષે ઉનાળાના સમયે પાણીનો પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાને બદલે, રાજકીય પતંગિયાં જ ઉડાડવામાં આવે છે. આ વર્ષે તો ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે જનતાએ પોકાર કરવાની શરૂઆત કરી દીધી છે, જે સોશિયલ મિડિયા અને સ્થાનિક સ્તરે વિરોધના રૂપમાં સમયાંતરે દેખાઈ છે. સામાન્ય સભા પહેલા જ પાણી મુદ્દે પ્રશ્નો એજન્ડામાં સમાવિષ્ટ થયા હોવાથી, આ સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે તીખી ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે. પાણીના મુદ્દે વિપક્ષ સત્તાવાળાને ઘેરશે અને સામાન્ય જનતાની માંગને વધુ મજબૂત બનાવશે તે પણ સ્પષ્ટ છે.

Most Popular

To Top