National

‘અમે અમારી ભૂલો ઓળખી અને તેને સુધારી’- ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાન પર બોલ્યા CDS

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય ફાઇટર જેટ પડી જવાના દાવા પર વાત કરી. તેમણે કહ્યું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાન પડી ગયા પરંતુ તે શા માટે પડ્યા? તે મહત્વનું છે. સીડીએસે બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી. તેઓ અહીં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષમાં ફાઇટર જેટના નુકસાનનો સ્વીકાર કર્યો પરંતુ છ ભારતીય વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને ‘એકદમ ખોટો’ ગણાવ્યો છે. બ્લૂમબર્ગનો પ્રશ્ન હતો કે શું પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન ભારતીય જેટ તોડી પાડ્યા હતા? શું તમે આની પુષ્ટિ કરી શકો છો આના જવાબમાં સીડીએસ ચૌહાણે કહ્યું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાન પડ્યા પરંતુ તે શા માટે પડ્યા અને અમે તેમની પાસેથી શું શીખ્યા એ મહત્વનું છે. ભારતે તેની ભૂલો ઓળખી, તેમને ઝડપથી સુધારી અને પછી બે દિવસમાં ફરી એકવાર લાંબા અંતરથી દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવીને અસરકારક રીતે જવાબ આપ્યો.

સીડીએસ ચૌહાણે ભવિષ્યની રણનીતિ વિશે શું કહ્યું?
બ્લૂમબર્ગ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આપણા વિમાનો કેમ પડી ગયા તે સમજવું વધુ મહત્વનું છે, જેથી ભવિષ્યની રણનીતિમાં સુધારો કરી શકાય. જનરલ ચૌહાણે કહ્યું, ‘મારા માટે એ વધુ મહત્વનું છે કે વિમાનો કેમ પડ્યા, નહીં કે તે પડ્યા.’ તેમણે સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક વિમાનો પડી ગયા હતા પરંતુ ભારતે તેમાંથી શીખ્યું અને બે દિવસમાં સુધારીને ફરીથી પોતાની વ્યૂહરચના લાગુ કરી.

‘અમે અમારી ભૂલો ઓળખી અને સુધારી’
તેમણે કહ્યું, ‘અમે અમારી વ્યૂહાત્મક ભૂલો ઓળખી, તેમને સુધારી અને બે દિવસ પછી ફરીથી હવાઈ કાર્યવાહી શરૂ કરી. આ વખતે અમે લાંબા અંતરથી લક્ષ્યોને નિશાન બનાવ્યા’. જ્યારે જનરલ ચૌહાણને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાને ભારતના છ ફાઇટર વિમાનોને તોડી પાડ્યા ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘આ દાવો બિલકુલ ખોટો છે.’

એર માર્શલે પણ નુકસાન સ્વીકાર્યું
અગાઉ ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતીએ પણ 11 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘યુદ્ધમાં નુકસાન સામાન્ય છે પરંતુ અમારા બધા પાઇલટ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા.’ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર દરમિયાન વાયુસેનાએ સંપૂર્ણ તાકાત સાથે કામ કર્યું અને દુશ્મનને યોગ્ય જવાબ આપ્યો.

Most Popular

To Top