Gujarat

રાજ્યમાં કોરોનાથી વધુ ત્રણ દર્દીના મોત: નવા 98 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જેમાં અમદાવાદ મનપામાં એક, પોરબંદરમાં એક અને જામનગર મનપામાં એક દર્દીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે રાજ્યમાં કોરોનાના વધુ 98 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 32 કેસ ઉપરાંત સુરત મનપામાં 18, વડોદરા મનપામાં 10, રાજકોટ મનપામાં 7, કચ્છમાં 6, વલસાડમાં 5, ખેડામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 3, ગાંધીનગર મનપામાં 2, જૂનાગઢ મનપામાં 2, નવસારીમાં 2, સાબરકાંઠામાં 2, વડોદરામાં 2, ભાવનગર મનપામા 1, ગીર સોમનાથમાં 1, જામનગર મનપામા 1, અને સુરત ગ્રામ્યમાં 1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 10,111 થઈ છે. તો વળી છેલ્લા 24 કલાકમાં 69 કોરોના દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા 694 થઈ છે. જેમાં 8 દર્દીઓ વેલ્ટીલેટર પર છે, અને 686 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

રાજ્યમાં શુક્રવારે 03 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 506ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 5,428 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 41,887ને બીજો ડોઝ તેમજ 18-45 વર્ષ સુધીના 17,788 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,09,927ને બીજો ડોઝ મળી આજે કુલ 1,75,539 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના કેસ વધતા શહેરના બે વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેઓના ટેસ્ટ પોઝિટિવ આવતા ચાંદખેડાના આઈઓસી રોડ પર આવેલી એક સોસાયટીને જ્યારે ચાંદલોડીયા વિસ્તારમાં એક સોસાયટી મળી એમ બે વિસ્તારોને પાલિકાએ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર શહેરમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારી દીધું છે.

Most Popular

To Top