ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં વધારો થવાથી ટૂંક સમયમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 સ્થગિત થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર પછી T20 લીગ ચાલુ રહેશે જોકે ભારત તરફથી નવા હુમલાઓ પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે.
બુધવારે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ગુરુવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ પર હુમલો કર્યો હતો. ભારતીય સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે.
તેવામાં પાકિસ્તાનના રાવલપિંડીમાં ક્રિકેટ સ્ટેડિયમ નજીક થયેલા ડ્રોન હુમલાને કારણે ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રાત્રે 8 મેના રોજ પાકિસ્તાન સુપર લીગ (PSL) ની મેચ રમવાની હતી, જે આ ડ્રોન હુમલા બાદ રદ કરવામાં આવી છે. આ હુમલા બાદ PSL ની બાકીની મેચોનું સ્થળ પણ બદલાશે. પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચો કરાચી, દોહા અને દુબઈમાં રમાશે.
એક ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે IANS ને જણાવ્યું કે હુમલા બાદ રાવલપિંડીમાં PSL ની મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે વિદેશી ખેલાડીઓ ઊંડા આઘાતમાં છે. મેચ આજે રાત્રે હતી. ઘણા લોકો હવે શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવા માંગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સરકાર સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લેશે.
PCB એ PSL પર કટોકટી બેઠક બોલાવી
ભારત તરફથી લશ્કરી કાર્યવાહીમાં ઝડપી વધારો થવાથી PSL 2025 ની બાકીની મેચો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. ARY ન્યૂઝ અને અન્ય પાકિસ્તાની મીડિયા આઉટલેટ્સ અનુસાર PSL ના બાકીની મેચો હાલ કરાચી ખસેડવામાં આવી છે. જ્યારે પાકિસ્તાનના GEO સુપર ટીવીએ અહેવાલ આપ્યો છે કે PCB એ ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં PSL ફ્રેન્ચાઇઝીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી છે જેથી PSL પૂર્ણ કરવાના સંભવિત વિકલ્પોની ચર્ચા કરી શકાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સુપર લીગ ફ્રેન્ચાઇઝ માલિકો વચ્ચે બેઠક કરી છે.
