Business

GSTમાં રાહતના સંકેત, મધ્યમવર્ગને થશે મોટો ફાયદો

GST માં મોટી રાહતના સંકેતો સરકાર તરફથી મળી રહ્યા છે. માર્ચ મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે GST ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી GST દરો નીચે આવશે. ત્યારથી GST ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા હતી અને હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આગામી કાઉન્સિલની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

આ વર્ષની શરૂઆતમાં આવકવેરામાં ઘણી છૂટછાટો આપ્યા પછી કેન્દ્ર હવે મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં ઘટાડાના રૂપમાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર 12 ટકાના GST સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને હાલમાં 12 ટકાના દરે કરવેરા હેઠળ આવતી ઘણી વસ્તુઓને નીચલા 5 ટકાના સ્લેબમાં સમાવવાનું વિચારી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફારોમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સમાવેશ થશે. જેમાં ટૂથપેસ્ટ અને ટૂથ પાવડર, છત્રીઓ, સીવણ મશીનો, પ્રેશર કૂકર અને રસોડાના વાસણો, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ગીઝર, નાની ક્ષમતાવાળા વોશિંગ મશીન, સાયકલ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના રેડીમેડ વસ્ત્રો, 500 થી 1,000 રૂપિયાની કિંમતના જૂતા, સ્ટેશનરી વસ્તુઓ, રસીઓ, સિરામિક ટાઇલ્સ અને કૃષિ સાધનોનો સમાવેશ થશે.

ગઈ તા. 1 જુલાઈ, 2017 ના રોજ અમલમાં આવેલા GST માં 17 કર અને 13 ઉપકરનો સમાવેશ થાય છે. કર પ્રણાલીઓનું ડિજિટાઇઝેશન કરીને એક સીમલેસ રાષ્ટ્રીય બજાર બનાવવામાં આવ્યું છે. GST કામગીરીના પ્રથમ વર્ષ (નવ મહિના) માં કુલ GST કલેક્શન 7.40 લાખ કરોડ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

વર્ષ 2024-25માં કુલ GST કલેક્શન 22.08 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવાની તૈયારીમાં છે, જે વાર્ષિક ધોરણે 9.4 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે વાર્ષિક GST આવક લગભગ ત્રણ ગણી વધવાની ધારણા છે, જે નાણાકીય વર્ષ 2017-18માં 7 લાખ કરોડ રૂપિયા હતી જે નાણાકીય વર્ષ 2024-25માં 22 લાખ કરોડ રૂપિયા થશે.

ભારતમાં GST ના કેટલા સ્લેબ છે?
વર્ષ 2017 માં દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો અને તેને છેલ્લા કાર્યકારી દિવસે 1 જુલાઈના રોજ આઠ વર્ષ પૂર્ણ થયા. દેશમાં GST દરો GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમાં ફેરફાર અંગેના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં GST સ્લેબ વિશે વાત કરીએ તો હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top