SURAT

એકતા દિવસ એ ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે : મોદી

રાજપીપળા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 મી ઓકટોબરે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે તેમને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 2022 ના વર્ષનો આ એકતા દિવસ એ આપણા માટે વિશેષ દિવસ છે, આ વર્ષમાં આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, તે માટે આજના દિનનું આપણા માટે વિશેષ મહત્વ રહ્યુ છે. સરદાર પટેલની જન્મ જયંતી – એકતા દિવસ એ આપણાં માટે ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે.

જો આપણી સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે .જો 550 થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત ? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરદાર પટેલે આ અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એકતાંતણે જોડ્યું હતું.એકતાની શક્તિએ ક્યારેય આપણાં માટે વિવશતા નથી રહી, પરંતુ એ સદા સર્વથા આપણી ભારતીયોની વિશેષતા બની રહી છે. એકતાની ભાવના એ પ્રત્યેક ભારતીયોના અંતર મનમાં રચાયેલી રહી છે. દેશ ઉપર જ્યારે પણ કોઈ આપદા આવી છે, તેવા સમયે દેશ એકજૂટ બની સેવા – સહયોગની સંવેદના સાથે ઉભો રહ્યો છે.ભારતની એકતા દુશ્મનોને ખટકે છે.ગુલામીના કાલખંડમાં પણ આ એકતા દુશ્મનોને ચૂભતી હતી, તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે પણ આપણે તોડનારી, વિભાજન કરવાવાળી તાકાતની સામે જાગૃત બનવું પડશે.દેશને કમજોર કરવાવાળી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે, તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.દેશમાં ભાષા – ભોજન ભલે અલગ હોય, પરંતુ આજે તમામ લોકો સુધી સરકારની નીતિ – યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. દસકાઓ સુધી ઉપેક્ષિત પ્રત્યેક સમાજને પ્રાધાન્ય આપી તેને વિકાસની તરાહમાં જોડયા છે. સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક મિશનના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે. આ મિશન એ દેશના સંવિધાનમાં સામાન્ય માનવીના વિશ્વાસનું માધ્યમ બની રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. આ એકતાનગર ખાતે રચાયેલ એકતા મોલ, એકતા નર્સરી, એકતા ફેરી, એકતા રેલ્વે સ્ટેશન સહિતના અનેક સ્થાનકો રાષ્ટ્રીય એકતા માટે આપણને પ્રેરિત કરી રહ્યાં છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાયા હતા.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

મારું કરુણાભર્યું મન મોરબીના પીડિત પરિવારો ની સાથે છે
હું એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે છે તેવા કરૂણાભર્યા શબ્દો સાથે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એકતા નગરમાં સરદાર જયંતીના રાષ્ટ્રીય એકતા પર્વ પ્રસંગે મોરબીની દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, જીવનમાં ઘણી ઓછી વાર મેં આવી પીડા અનુભવી છે,દિલ દર્દથી ભરેલું છે અને બીજી તરફ કર્તવ્ય પથની વ્યસ્તતા છે.મારું કરુણાભર્યું મન પીડિત પરિવારો સાથે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે રાત્રિથી જ મોરબીમાં છે. તેઓ રાહત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારતીય સેનાના એકમો અને એન.ડી.આર.એફ ની ટુકડીઓ બચાવ અભિયાનમાં જોડાઈ છે. હોસ્પિટલોમાં ઘાયલોની જરૂરી કાળજી લેવામાં આવી રહી છે. ગુજરાત સરકારે તેની તમામ તાકાત બચાવ અને રાહતમાં લગાડી છે.આ સંકટની ઘડીએ ભારત સરકાર તમામ રીતે પીડિત પરિવારોની સાથે છે અને કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે રહેશે. તેમણે કહ્યું કે આખો દેશ આજે વેદના અનુભવી રહ્યો છે.મોરબીના પીડિતોના દુખે દુઃખી થતો દેશ રાષ્ટ્રીય એકતાની શ્રેષ્ઠ ભાવના પ્રદર્શિત કરે છે. બચાવ અને રાહતના કામમાં કોઈ ઉણપ રાખવામાં નહિ આવે .સરદાર સાહેબે મુશ્કેલીઓનો એકજૂટતા થી મુકાબલો કરવાની પ્રેરણા આપી.આ પ્રેરણા આ સંકટમાં પ્રેરક બળ બની રહી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરવાની સાથે બચાવ અને રાહત માં સામે ચાલીને જોડાયેલા લોકો અને સંસ્થાઓને બિરદાવ્યા હતા.

Most Popular

To Top