Gujarat

મ્યૂકોમાયરોસીસની સારવાર માટે સુરત સહિત છ મહાનગરો વોર્ડ શરૂ કરાશે

કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ રાજ્ય સરકારે સર્વગ્રાહીધરીને સુરત સહિત છ શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં સ્પે. વોર્ડ શરૂ કરવા આરોગ્ય વિભાગને તાકિદ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મ્યુકોમાયરોસીસના ૧૦૦ કેસ નોંધાયા છે. મ્યુકોમાયરોસીસની સારવાર માટે ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસિરિન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને મ્યુકોમાયરોસીસના રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજ્જતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી. રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

આ નિર્ણયો અનુસાર મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસિરિન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.

રજ્યમાં મ્યુકોમાયરોસીસના 100થી વધુ કેસ, અમદાવાદમાં 19 દર્દી સારવાર હેઠળ
સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યૂકોમાયરોસીસના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી.

મ્યૂકોમાયરોસીસ રોગ કોને થઈ શકે?
જવલ્લે જ જોવા મળતો મ્યૂકોમાયરોસીસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યૂકોમાયરોસીસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યૂકોમાયરોસીસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યૂકોમાયરોસીસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યૂકોમાયરોસીસ રોગ થવાની સંભાવના વધુ છે.

મ્યુકોમાયરોસીસના લક્ષણો
મ્યુકોમાયરોસીસના ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે. આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સૂજી જવો, માથાનો દુખાવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો, આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, તાવ, કફ, છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો – ઉબકા આવવા કે ઉલટી થવીય આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે.

મ્યુકોમાયરોસીસ સામે તકેદારી
મ્યુકોમાયરોસીસનાથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકોમાયરોસીસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકોમાયરોસીસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરવા પડે છે.

Most Popular

To Top