Gujarat

ખરીફ ઋતુમાં વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમથી શરૂ થશે

ગાંધીનગર : વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા.૨૯ ઓકટોબર-૨૦૨૨- લાભપાંચમથી ૯૦ દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.

નોંધણી થયેલા ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનિક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવાર થી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે.વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ ૪૯,૮૯૯ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૫૫૮.૫૩ કરોડ મૂલ્યની ૯૫,૨૩૦ મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ખરીફ વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ ૧૦,૨૮૮ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૧૨૬.૦૩ કરોડ મૂલ્યના ૨૦,૦૦૪ મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જ્યારે રવિ સિઝન દરમિયાન વર્ષ ૨૦૨૧-૨૨માં ચણાની ખરીદી માટે કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ ૨,૮૩,૦૪૩ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૨૯૨૧.૬૦ કરોડ મૂલ્યના ૫,૫૮,૬૨૩ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

Most Popular

To Top