Gujarat

70 લાખ કાર્ડધારકને તહેવારોમાં 100 રૂપિયે કિલો સિંગતેલનું વિતરણ કરાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર આગામી નજીકના સાતમ-આઠ તેમજ દિવાળીના (Diwali) તહેવારો (Festival) દરમિયાન રેશન કાર્ડધારકોને રૂ.100 કિલોના ભાવે સિંગતેલ (Groundnut Oil) આપશે. બુધવારે ગાંધીનગરમાં (Gandhinagar) મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરિવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડધારકો એટલે કે ૭૦ લાખથી વધુ કાર્ડધારકોના ૩.૫ કરોડ લોકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ.૯૭ પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડધારકો કે જેની જનસંખ્યા ૩.૫ કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનું વિતરણ કાર્ડ દીઠ ૧ લીટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે. ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન ૧ લીટર રિફાઇન્ડ કપાસિયા તેલનું રૂ.૭૦ પ્રતિ લીટરની સબસિડી ભોગવીને રૂ.૯૩ પ્રતિ લીટરના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top