National

દિલ્હી હાઈકોર્ટ: ‘સ્મૃતિ ઈરાની કે તેમની પુત્રી ગોવાના રેસ્ટોરન્ટના માલિક નથી’

નવી દિલ્હી: ગોવાના રેસ્ટોરન્ટ બારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે સોમવારના રોજ મોટી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રી (ઝોઈશ ઈરાની) તે રેસ્ટોરન્ટના માલિક નથી. તેમજ તેમણે ક્યારેય તે રેસ્ટોરન્ટના સંબંધમાં કોઈ લાયસન્સ માટે અરજી પણ કરી નથી. જણાવી દઈએ કે આ કેસની સુનાવણી શુક્રવારે (29 જુલાઈ) દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી, જેનો વિગતવાર આદેશ સોમવારના રોજ સામે આવ્યો છે.

જસ્ટિસ મિની પુષ્કર્ણાએ દિલ્હી હાઈકોર્ટમાં ગોવાના રેસ્ટોરન્ટ બારને લઈને ચાલી રહેલા વિવાદ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને બોલાવ્યા છે. આ સમન સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર મોકલવામાં આવ્યું છે. ઈરાનીએ આ નેતાઓને 2 કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ મોકલી છે. શુક્રવારની સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે કોંગ્રેસ નેતા પવન ખેરાએ સ્મૃતિ ઈરાનીની પુત્રી સાથે સંબંધિત ટ્વિટ તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ.

હાઈકોર્ટે આ મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે ગોવાની રેસ્ટોરન્ટ કે તેની જમીન સ્મૃતિ ઈરાની કે તેમની પુત્રીની નથી. કોર્ટે વધુમાં કહ્યું કે બચાવ પક્ષના લોકોએ અને કેટલાક અન્ય લોકોએ આ અંગે ખોટી અફવાઓ ફેલાવી હતી. આ સાથે તેમણે સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રી પર અંગત પ્રહારો પણ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે આવી અફવાઓ ફેલાવીને સ્મૃતિ ઈરાનીની ઈમેજ ખરાબ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના જણાવ્યા અનુસાર વાસ્તવિક તથ્યો જાણ્યા વિના મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સ્મૃતિ ઈરાની અને તેમના પરિવારની છબીને નુકસાન થયું હતું.

સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ માનહાનિ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાઓ જયરામ નરેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ જારી કર્યા છે અને તેમને જવાબ સાથે આગામી સુનાવણીમાં હાજર થવા જણાવ્યું છે. આગામી સુનાવણી 18 ઓગસ્ટના રોજ થવાની છે. આ મામલો ગોવાના સિલી સોલ્સ કેફે એન્ડ બાર સાથે સંબંધિત છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે ગોવામાં રેસ્ટોરન્ટ ચલાવતી સ્મૃતિ ઈરાનીની પુત્રીએ 13 મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે નકલી લાઇસન્સ મેળવ્યું હતું.

Most Popular

To Top