ભારતના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે તા.12 સપ્ટેમ્બર શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. ગત મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં રાધાકૃષ્ણને એનડીએના ઉમેદવાર તરીકે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા અને તેઓ દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે.
ચૂંટણી પરિણામ
તા.21 જુલાઈના રોજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામો જાહેર કરતી વખતે રાજ્યસભાના મહાસચિવ અને રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ જણાવ્યું હતું કે 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું છે. જે લગભગ 98.2% મતદાન હતું.
રાધાકૃષ્ણને કુલ 452 મત મળ્યા જ્યારે વિરોધી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. એટલે કે રાધાકૃષ્ણનને 152 મતોના અંતરથી સ્પષ્ટ જીત મળી.
વડાપ્રધાન અને નેતાઓની પ્રતિક્રિયા
પરિણામ જાહેર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે નવા ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે તથા સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે. અનેક અન્ય નેતાઓએ પણ રાધાકૃષ્ણનને શુભેચ્છાઓ પાઠવી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સીપી રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી હતી કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વધારાના કાર્યભાર રૂપે મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.
શપથવિધિની તૈયારીઓ
શુક્રવારે યોજાનારા શપથવિધિ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સંસદના બંને ગૃહોના સભ્યો, વડાપ્રધાન સહિત કેબિનેટના સભ્યો, રાજ્યના મુખ્ય મંત્રીઓ અને વિવિધ પ્રતિનિધિઓ સમારોહમાં હાજરી આપશે.