Gujarat

ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ઓછા મતદાનથી હવે ગામડાઓ માટે ભાજપે બનાવી નવી સ્ટ્રેટેજી

ગુજરાતમાં મહાનગરપાલિકા (CORPORATION)ની ચૂંટણીમાં ઓછા મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વધારવા ભાજપે કમર કસી છે. અને સત્તાધારી પક્ષની છેલ્લી ઘડીની કામગીરી મહાનગરપાલિકાના કંગાળ મતદાને ઊંધી પાડી દીધી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને મહાનગરપાલિકાનાં પરિણામો જો સત્તાધારી પક્ષની વિપરીત આવે તો એની સીધી અસર સીધી જિલ્લા અને તાલુકા પંચાયતના મતદાન (ELECTION) પર પડી શકે છે. અને આજ દહેશતને ધ્યાનમાં રાખીને ભાજપે રાતોરાત પોતાની સ્ટ્રેટેજી બદલી જિલ્લા-તાલુકા પંચાયતમાં વધુમાં વધુ મતદાન અને વધુ બેઠકો મેળવવા માટે ચર્ચા વિચારણા હાથ ધરી છે.

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પાટીલ (C R PATIL)ની નિષ્ફ્ળ ગયેલી પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને વધુ મજબૂત બનાવવા માટે હવે અન્ય નેતાઓ મેદાને ઉતર્યા છે, અને પ્રદેશ નેતાઓથી માંડીને ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને પેજ સમિતિઓ સુધીની સૂક્ષ્મ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.

ભાજપ હવે કઈ નીતિથી પ્રચાર અને મતદાન કરાવશે?
ગુજરાતની 6 મહાનગરપાલિકાના ઓછા મતદાનને કારણે ભાજપ (BJP)નો જીતનો ટાર્ગેટ ખોટો પડી શકે એવી શક્યતાઓને લઇ ભાજપમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. સાથે જો મહાનગરપાલિકામાં ભાજપને પરાજયનો સામનો કરવો પડે અથવા તો બેઠકો ઘટે તો ગામડાંમાં એની અવળી અસર પડી શકે છે. પરિણામે, ભાજપે રાતોરાત ગામડાંના મતદારોને રીઝવવા માટે સ્થાનિક લેવલ સુધીની બેઠકોનો દોર શરુ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના ખેડૂત આંદોલન (FARMER PROTEST)માં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવના છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ પણ નથી, અને આ તમામ બાબત 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ખેડૂત મતદારો હોવાથી સૌથી વધુ પડકારજનક છે.

હજુ ગામડાંમાં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ નથી
મહત્વની વાત છે કે શહેરો જેટલી સુવિધા હજુ ગામડાં (VILLAGE)માં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણા શાણા અને સમજુની સાથે જ્ઞાતિવાદ અને પરિવાર તથા સમાજવાદને ધ્યાને લઇ રાજકીય પક્ષ કરતાં વધુ ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે, માટે જ ગામડામાં માત્ર ભાજપના ચિહનથી જીતવું પણ ઘણું અઘરું થઇ પડે છે.

રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. જ્યારે ઠેરઠેર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. આ ઉપરાંત 38થી વધુ મતદાન કેન્દ્રોમાં ઇવીએમ મશીન ખોટકાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top