Sports

ભારતમાં રમાનારા 2023 વન-ડે વર્લ્ડ કપ અંગે મોટો ખુલાસો, ફાઈનલ મેચ આ મેદાનમાં રમાશે

મુંબઈ: ચાલુ વર્ષના અંતમાં ભારતની (India) ધરતી પર યોજાનાર ક્રિકેટના મહાકુંભ સમાન ICC 2023 ODI વર્લ્ડ કપના શિડ્યુલ વિશે એક મોટો ખુલાસો થયો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા દિવસે અને કયા ગ્રાઉન્ડ પર રમાશે તેની પણ ઘણી માહિતી સામે આવી છે. આ સિવાય 2023 ODI વર્લ્ડ કપની મેચ કયા શહેરોમાં રમાશે તે રહસ્ય પણ ખુલ્યું છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતમાં આયોજિત 2023 વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. 

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ અનુસાર, 2023 વર્લ્ડ કપમાં ત્રણ નોકઆઉટ મેચો સહિત કુલ 48 મેચો રમાશે. તમામ મેચો ભારતના 12 શહેરોમાં રમાશે. 2023 વર્લ્ડ કપની મેચો હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, દિલ્હી, લખનૌ, ચેન્નાઈ, બેંગ્લોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ અને મુંબઈમાં રમાશે. જણાવી દઈએ કે ભારત 10 વર્ષથી એકપણ ICC ટ્રોફી જીતી શક્યું નથી.

હવે ટીમ ઈન્ડિયાનો આ વર્ષનો સૌથી મોટો ટાર્ગેટ 2023નો ODI વર્લ્ડ કપ જીતવાનો છે. ભારતે 12 વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલા 2011 વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે તે 2023 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવાનો પૂરો પ્રયાસ કરશે. ભારતમાં યોજાનારી આ વર્લ્ડ કપ ઈવેન્ટમાં હજુ 7 મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે.

Most Popular

To Top