Editorial

દેશમાં માંડ 50 ટકા રસીકરણ થયું છે ત્યાંતો હવે આ નવું ગતકડું આવી રહ્યું છે

Pause booster dose till September: WHO to rich countries | Health News |  Zee News

ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવ્યું હતું એટલે આ રસીકરણની શરૂઆતને 11 મહિના પૂર્ણ થઇ ચૂક્યા છે એટલે કે એક વર્ષ થવા આવ્યું છે ત્યારે સરકારી આંકડા જ બતાવે છે કે હજી માંડ 50 ટકા જ રસીકરણ થઇ શક્યું છે. સરકારની યોજના હતી કે, સૌથી પહેલા કોરોના વોરિયર્સ, હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઇન વોરિયર્સનું રસીકરણ કરવામાં આવે. શરૂઆત પણ તેમના થી જ કરવામાં આવી હતી પરંતુ હજી તે જ લક્ષ્યાંક સિદ્ધ થઇ શક્યો નથી.

હજી પણ ફ્રન્ટલાઇન વર્કર્સનું રસીકરણ ચાલી રહ્યું છે તે જ દર્શાવે છે કે ભારતમાં રસીકરણની સ્થિતિ કયા સ્તર પર છે. હજી તો રસીના બે ડોઝ પૂર્ણ થઇ શક્યા નથી તેમાં સંસદમાં બુસ્ટર ડોઝ પર ચર્ચા ચાલી રહી છે આ બાબત જ હાસ્યાસ્પદ છે. અને હવે સૌથી ગંભીર બાબત એ છે કે, વિશ્વભરમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે વિશ્વના ૩૦ દેશોમાં ઓમિક્રોનના ૩૭૫થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ યુરોપમાં નોંધાયા છે. ભારતના કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે, જેમાં ૬૬ વર્ષના વિદેશી નાગરિક અને ૪૬ વર્ષના એક હેલ્થ વર્કરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે. વધુમાં ઓમિક્રોનથી સંક્રમિત આ બે વ્યક્તિમાંથી એકના સંપર્કમાં આવેલા અન્ય પાંચ લોકોને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે.

તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. દરમિયાન ઓમિક્રોન મુદ્દે ‘જોખમી’ દેશોમાંથી દિલ્હી આવેલા વધુ ચાર પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે તેમ અધિકારીઓએ જણાવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત બંને દર્દીઓને હળવા લક્ષણો છે. ભારતમાં ઓમિક્રોનના કેસ નોંધાવા છતાં લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવાની અને કોઈપણ વિલંબ વિના રસી લેવાની જરૃર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના બે કેસમાંથી ૬૬ વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકન નાગરિક હતો, જે ૨૦મી નવેમ્બરે બેંગ્લુરુ આવ્યો હતો. એરપોર્ટ પર તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને એક હોટેલમાં આઈસોલેશનમાં રખાયો હતો. જોકે, અન્ય એક લેબમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ૨૭મી નવેમ્બરે તે દુબઈ જતો રહ્યો હતો. તેના સંપર્કમાં આવેલા ૨૪ પ્રાથમિક અને ૨૪૦ સેકન્ડરી સંપર્કોની પણ માહિતી મેળવી લેવાઈ છે.

ઓમિક્રોન સંક્રમિત બીજો દર્દી બેંગ્લુરુની એક હોસ્પિટલનો ડૉક્ટર છે. તેના દક્ષિણ આફ્રિકા સહિત વિદેશ પ્રવાસની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. બંને દર્દીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેઓ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયા હતા. બંને દર્દીઓના સંપર્કમાં આવેલા બધા જ લોકોને ટ્રેસ કરી લેવાયા છે અને તેમના ટેસ્ટ કરાયા છે. બેંગ્લુરુના ડૉક્ટરનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અધિકારી લવ અગ્રવાલ જણાવે છે, દુનિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

ઓમિક્રોનના નવા વેરિઅન્ટ અંગે હજુ કોઈ નક્કર વૈજ્ઞાાનિક તથ્યો સામે આવ્યા નથી. ભવિષ્યમાં જે પણ નિર્ણય લેવાશે તે બધા જ વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા પછી લેવા જોઈએ.  બૂસ્ટર ડોઝ અને બાળકો માટે કોવિડ રસી અંગેનો નિર્ણય નિષ્ણાતો તરફથી વૈજ્ઞાનિક દિશાનિર્દેશના આધારે લેવામાં આવશે તેમ ભારતના કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જણાવી રહ્યાં છે. કોવિડ-19 પર ચાલેલી 11 કલાક લાંબી ચર્ચા પર જવાબ આપતાં માંડવિયાએ કહ્યું હતું જોખમવાળા દેશોથી 58 ફ્લાઈટ્સમાં આવેલા 16000 મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 18 કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા હતાં. તેમણે કહ્યું હતું.

આ 18 મુસાફરોના સ્વેબના નમૂનાઓને ઓમિક્રોન વેરિઅન્ટની તપાસ કરવા જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતાં ગુરુવારે ચર્ચા દરમિયાન કેટલાંક સાંસદોએ કોવિડ-19 વેક્સિનના બૂસ્ટર ડોઝનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વાયરસના નવા વેરિઅન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના 2 કેસ દેશમાં મળી આવ્યા હતાં.રસીકરણ પર માંડવિયાએ કહ્યું હતું કે લાયક લાભકર્તાઓના 85 ટકાને પ્રથમ ડોઝ લાગી ચુકયો છે જ્યારે 50 ટકાને બંને ડોઝ લાગ્યા છે.

Most Popular

To Top