Dakshin Gujarat

બારડોલીના યાત્રીઓને કેદારનાથ છોડી ટ્રાવેલ સંચાલક નાસી છૂટ્યો, યાત્રાળુઓ સ્વખર્ચે પરત ફર્યા

બારડોલી: બારડોલીથી (Bardoli) કેદારનાથની (Kedarnath) યાત્રાએ ગયેલા 84 યાત્રીને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. ટ્રાવેલ્સ સંચાલકે 13.21 લાખ રૂપિયામાં સમગ્ર પ્રવાસ નક્કી થયા બાદ યાત્રીઓએ કુલ 11.45 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ ટ્રાવેલ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હોય તમામ યાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા અને ટ્રાવેલ સંચાલક યાત્રીઓને મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી (Fraud) થઈ હોવાનું જાણતા જ યાત્રાથી પરત ફર્યા બાદ પ્રવાસીઓએ રવિવારે બારડોલી ટાઉન પોલીસમથકમાં લેખિત ટ્રાવેલ સંચાલક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી.

  • યાત્રીઓએ કુલ 11.45 લાખ ચૂકવી દીધા હતા, પણ ટ્રાવેલ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હતી

પ્રાપ્ત માહિતી અનુસાર તાપીના વાલોડના બુટવાડા ગામે ટેકરા ફળિયામાં રહેતા ભાવિન રાહુલ પટેલે (બેકપેકર્સ સોશિયલ) કેદારનાથ પ્રવાસનું આયોજન કર્યું હતું, જેમાં બારડોલીના હાર્દિપ જયેશ પટેલ, દીપિકા પ્રકાશસિંહ ડાભી, સુધીર વિક્રમ વ્યાસ, કૈલાસ વસંત પાટીલ, ડેનિશ હેમંત ઉપાધ્યાય સહિત 84 જણાના ગ્રુપે આ પ્રવાસમાં જવાનું નક્કી કર્યું હતું. આ માટે આયોજક ભાવિન પટેલ દ્વારા વ્યક્તિ દીઠ ટ્રેન મારફતે 15,500, પ્લેન મારફતે 19 હજાર અને છેલ્લા આવેલા ચાર જણા પાસે 24 હજાર રૂપિયા મળી કુલ 13.21 લાખ રૂપિયા નક્કી કર્યા હતા.

જે પૈકી દિલ્હી પહોંચવા પહેલા 10.13 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. અને દિલ્હી પહોંચ્યા બાદ 1.32 લાખ રૂપિયા મળી કુલ 11.45 લાખ રૂપિયા આયોજકને પ્રવાસના ભાડા પેટે ચૂકવ્યા હતા. દરમિયાન 15મી મેના રોજ પ્રવાસીઓનું ગ્રુપ દિલ્હીથી ટેમ્પો ટ્રાવેલમાં હરિદ્વાર અને ત્યાંથી ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશ પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે, આયોજક દ્વારા કેદારનાથની યાત્રા માટે સરકારની પરવાનગી લેવામાં આવી નથી. આથી ત્યાં જ આયોજક અને પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને રિફંડની માંગ કરતાં આયોજકે રિફંડ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. દરમિયાન પ્રવાસીઓએ આયોજકે કરેલા બુકિંગ મુજબ કેદારનાથ જવા માટે નક્કી કર્યું હતું. પરંતુ જે બુકિંગ થયું હતું, એ ટેમ્પોચાલકે પણ ના પાડી દેતાં સ્વખર્ચે ઋષિકેશમાં રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

દરમિયાન બીજા દિવસે ઋષિકેશથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા. ત્યાં પણ સ્વખર્ચે રોકાણ કરવાની ફરજ પડી હતી. ત્યાંથી ડ્રાઇવરે કેદારનાથ જવાની ના કહેતાં ફરી પ્રવાસીઓએ ભાડું ખર્ચવું પડ્યું હતું. આયોજક દ્વારા કેદારનાથમાં હેલિકોપ્ટરથી જવા માંગતા 7 પ્રવાસીનું પણ બુકિંગ કર્યું ન હતું. દરમિયાન કેદારનાથ જવાના ટ્રેક પર માટી ધસી પડતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આથી પ્રવાસીઓ પરત ફર્યા હતા. એટલું જ નહીં જે હોટેલમાં રોકાયેલા તે હોટેલનું ભાડું રૂ.1.66 લાખ રૂપિયા પ્રવાસીઓએ ચૂકવવું પડ્યું હતું. આમ પ્રવાસીઓએ 5.32 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો.

બારડોલી પહોંચ્યા બાદ તમામ પ્રવાસીઓએ રવિવારના રોજ પ્રવાસના આયોજક વિરુદ્ધ ટાઉન પોલીસમથકમાં લેખિત ફરિયાદ આપી 50 ટકા રિફંડ અને પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચ પરત આપવાની માંગ કરી હતી.

Most Popular

To Top