SURAT

વિશ્વ ઓર્ગન ડેના દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર બે ફેફસાનું દાન થયું

સુરત: આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની (Augern Day) ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન (Organ donation) થાય તે માટેના જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ (Hospital) દ્વારા સમગ્ર ભારતમાં સૌથી ઝડપી ઓર્ગન ડોનેશનમાં અગ્રેસર રહીને ડંકો વગાડયો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઓર્ગન ફેલ્યોરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઓર્ગન ફેલ્યોરની તકલીફના કારણે પીડાતા દર્દીનું જીવન દયનીય બની જાય છે. જે દર્દીઓને અંગદાન મળે છે તેઓને નવું જીવન મળ્યા બરાબર ગણાય છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સફળ પ્રયાસોના પરિણામે આજે ૪૦માં સફળ અંગદાનથકી વિશ્વ અંગદાન દિનની સાચા અર્થમાં ઉજવણી સકારિત થઈ છે. આજરોજ અશરફીલાલ બંશધારી પાલના બે કિડની, બે ફેફસા અને એક લિવરનું દાન સ્વીકારાયું હતું. જેમાં બે ફેફસાનું સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર દાન થયું છે. આમ પાંચ અંગોથકી પાંચ વ્યકિતને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મૂળ અલ્હાબાદના રૌહા જોકાનાઇ કર્ચના રહેવાસી 55 વર્ષીય અશરફીલાલ બંશધારી પાલ ઇચ્છાપોરમાં ટાસ્ક કંમ્પનીમાં સિક્યુરીટીગાર્ડનું કામ કરતા હતા. તા. 9 મી ઓગષ્ટના રોજ રાત્રીના 11:35 વાગે રૂમ પર બેહોશીની હાલતમાં મળી આવતા તત્કાલિક 108 એમ્યુલન્સ મારફતે તા.૧૦મી ઓગષ્ટના રાત્રીના 1:07 વાગે નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તા. 12 મીના રોજના રોજ રાત્રીએ 10:37 વાગે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા ન્યુરો ફિઝિશીયન જય પટેલ, ન્યુરો સર્જનમાં કેયુર પ્રજાપતિ તથા RMO ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પાલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સ્વ.અશરફીલાલના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.

આજે બન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારી અંગોને ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ તથા ફેફસાને કે.ડી હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અશરફીલાલના પરિવારમાં પત્ની ઇન્દ્રાવતીદેવી, પાંચ પુત્રો શુભાષભાઇ, ધર્મેન્દ્રભાઇ, યોગેન્દ્રભાઇ, સુરેન્દ્રભાઇ અને અનુજભાઇ પાલ છે

આજે અંગદાન સમયે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલે હાજરી આપી પરિવારજનોને સાંત્વના સાથે આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત અંગદાન ચેરટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલનું સોટોમાં રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે અને સિવિલ હો.ની જેમ સ્મીમેર હોસ્પિટલમાં પણ અંગદાન થાય તે માટેના પ્રયાસો કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.

નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના ડોકટરોના સધન પ્રયાસોના કારણે છેલ્લા 10 મહિના દરમિયાન 40 અંગદાન નોધાયા છે. જેમાં 72 કિડની, 32 લિવર, 3 હદય, 1 સ્વાદુપીડ, 4 આંતરડા, 7 હાથ, 14 આંખ અને આજે પ્રથમવાર બે ફેફસાનુ દાન સ્વીકારાયું છે. આમ કુલ ૧૩૫ અંગોનું દાન થયું છે. સિવિલ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, જાગૃત્ત સ્વયંસેવકોના સૌના સહિયારા પ્રયાસોના પરિણામે અંગદાનની જાગૃતિ આવી રહી છે.

Most Popular

To Top