Gujarat

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રેમડેસિવિરના કાળાબજાર થઈ રહ્યા છે : કોંગ્રેસ

AHMADABAD : કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) દર્દીના સ્વજનો ચિંતા સાથે એક કેમિસ્ટથી બીજી કેમિસ્ટ અથવા હોસ્પિટલોના વેચાણ કેન્દ્ર પર 12-12 કલાક લાઈનમાં ઊભા રહીને રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેક્શન મેળવવા પ્રયત્ન કરે છે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં રેમડેસિવિરના કાળા બજાર થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત ફ્રુડસ એન્ડ ડ્રગ વિભાગ શું કરી રહ્યો છે? ગુજરાતમાં વ્યવસ્થાતંત્ર જેવું કશું છે કે નહીં ? ગુજરાતમાં કાળાબજારીયાઓને ભાજપ સરકાર રક્ષણ કેમ પુરુ પાડી રહી છે ? તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો.


ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે બીજી બાજુ ભાજપાના કાર્યાલય પર ૫૦૦૦ જેટલા ઈન્જેક્શનનો જથ્થો વિતરણ કરવાની જાહેરાત જ સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં સરકારી વ્યવસ્થાતંત્ર – ડ્રગ કન્ટ્રોલ જેવું કશું છે જ નહિ. ત્યારે, સમગ્ર રાજ્યમાં રેલી-રેલા ઉત્સવો કરી કોરોના મહામારી રાજ્યના નાગરિકોને ભેટ આપનાર સુપર સ્પ્રેડર ભાજપના પ્રદેશ અધ્યક્ષ હવે ઈન્જેક્શન વિતરણ કરી રહ્યા છે.


ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર મળે છે, કેમિસ્ટને ત્યાં નહીં : સરકાર દિશાવિહન છે તેનો આ પુરાવો છે
દોશીએ કહ્યું હતું કે રૂપાણી સરકાર રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકાર કોરોના મહામારીમાં પણ દવાના કાળાબજારીયાઓને સંપૂર્ણ રક્ષણ આપી રહી હોય તેમ એક પછી એક ઘટના બની રહી છે. છેલ્લા ૧૦ દિવસથી રેમડેસિવિર ઈન્જેક્શન અંગે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન લઈ દર્દીઓના સ્વજનો એક કેમિસ્ટથી બીજી કેમિસ્ટને ત્યાં ધક્કા ખાઈ રહ્યાં છે અને ઈન્જેક્શન મળશે ત્યાં લાઈન લગાવી રહ્યાં હતા. ભાજપ પક્ષના કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણની જાહેરાત હકીકતમાં રાજ્યમાં આરોગ્ય સેવા ખાડે ગઈ છે, તંત્ર કામ કરતું નથી અને સરકાર દિશાવિહીન છે તેનું કબુલાતનામું છે. ભાજપ સરકાર સતત મીટીંગો કરી રહી છે અને ૧૫ દિવસથી કોરોના મહામારીનો વિસ્ફોટ છતાં વ્યવસ્થાતંત્ર સદંતર નિષ્ફળ અને બેદરકાર સાબિત થઈ રહ્યું છે.

ગુજરાતભરમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત છ ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેકશનનું દર્દીઓના સગાઓને વિતરણ શરૂ કરવાની આખી ઘટના હવે રાજિકય રંગે રંગાઈ ગઈ છે. સોમવારે ગુજરાત કોંગ્રેસના 6 સિનિયર અગ્રણીઓ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પાર્ટીના કેન્દ્રિય અગ્રણી શકિત્તસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને નીશિત વ્યાસ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા. એટલું જ નહીં તેમને લંબાણપૂર્વકનું આવેદનપત્ર આપીને સી આર પાટીલ સામે કાનુની ગુનો દાખલ કરીને તેમની સામે ખટલો ચલાવવાની માંગ કરી છે.

Most Popular

To Top