Dakshin Gujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યાં

ગાંધીનગર: (Gandhinagar) કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આગામી ૨૦૨૨માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ભરૂચથી લડવાના સંકેત આપ્યા છે. અમદાવાદમાં ખાડિયા વોર્ડમાં કોંગીના ઉમેદવારોના (Congress Candidates) પ્રચારમાં આવેલા ફૈઝલ પટેલે કહ્યું હતું કે જો હાઈકમાન્ડ કહે તો હું સક્રિય રાજનીતિમાં જોડાવવા માટે તૈયાર છું. એટલું જ નહીં ચૂંટણી (Election) પણ લડવા તૈયાર છું. કોંગીના બે સિનીયર ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા અમદાવાદમાં પ્રચાર માટે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફૈઝલ પટેલે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કારણ કે તે તેમનો વિસ્તાર છે.

અગાઉ ટવીટ્ટ કરીને ફૈઝલ પટેલે સામાજિક કાર્યોમાં રસ હોવાથી સક્રિય રાજનીતિમાં નહી જોડાઉ તેવું કહ્યું હતું. જો કે હવે તેમણે આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી જો હાઈકમાન્ડ ઈચ્છે તો પોતે ચૂંટણી લડવા તૈયાર છે તેમ અમદાવાદમાં ખાડિયામાં કહ્યું હતું. આજે રાજયમાં છ મનપા માટે પ્રચાર પડધમ શાંત થયા છે , હવે આગામી તા.૨૧મી ફેબ્રુ.ના રોજ મતદાન અને ૨૩મી ફેબ્રુ.ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે.

ચૂંટણી પ્રચારમાં ફૈઝલે ઝંપલાવ્યું

ગાંધીનગર: રાજયમાં અમદાવાદ સુરત , જામનગર , રાજકોટ વડોદરા અને ભાવનગર મનપાની ૫૭૬ બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ૨૦ કિમી કરતાં વધુ લાંબી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની બાઈક રેલી યોજાઈ હતી. તેવી જ રીતે કોંગ્રેસ દ્વારા પણ અમદાવાદમાં વિવિધ મતવિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાત અને વડોદરામાં બન્ને પક્ષોની રેલી સામ સામે આવી જતાં મારા- મારી સાથે અથડામણ થવા પામી હતી. બીજી તરફ કોંગ્રેસના પીઢ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.જો કે વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના વધેલા ભાવો અંગે શહેરીજનોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે, જોવાનું એ છે કે તે ભાજપની વિરૂધ્ધમાં મતોમાં પલ્ટાય છે કે નહીં?

છ મનપામાં ૧૪૪ વોર્ડમાં ૫૭૬ બેઠકો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદ મનપામાં ૧૯૨ બેઠકો , સુરતમાં ૧૨૦ બેઠકો , વડોદારામાં ૭૬ બેઠકો , રાજકોટમાં ૭૨ બેઠકો , ભાવનગરમાં ૫૨ બેઠકો અને જામનગરમાં ૬૪ બેઠકોનો સમાવેશ થાય છે.કુલ ૨૨૭૬ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહયા છે.સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે , જેના મટે ઈવીએમનો ઉપયોગ કરાશે. રાજયમાં છમનપાની ચૂંટણી માટે સલામતીના સધન પગલા લેવામા આવ્યા છે.તા.૨૧મી ફેબ્રુ.ના રોજ ૧.૧૨ કરોડમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેના માટે ૧૧૪૭૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. જે પૈકી સંવોદનશીલ મતદાન મથકોની સંકયા ૩૮૫૧ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૬૫૬ જેટલી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top