Editorial

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને હવે નિવૃત કરી દેવાની જરૂર છે

અવકાશી પ્રયોગશાળા તરીકે જેને ઓળખવામાં આવે છે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અઢી દાયકા કરતા વધુ સમયથી અવકાશમાં કાર્યરત છે. તે અવકાશમાં તરતું રહે છે, પૃથ્વીની પ્રદક્ષિણા કરતું રહે છે અને અત્યાર સુધી સંખ્યાબંધ અવકાશયાત્રીઓ તેના પર જઇને વિવિધ સમયગાળા માટે રોકાઇને વિવિધ પ્રયોગો કરી આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક હવે સ્વાભાવિક રીતે જૂનુ અને જર્જર  થવા માંડ્યું છે અને હાલમાં એર લીકની સમસ્યાને કારણે અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ આ અવકાશમથક પર કાર્યરત એવા પોતાના અવકાશયાત્રીઓને તાકીદની સ્થિતિમાં આ અવકાશ મથક છોડવું પડે તો તે માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે. સ્ટેશન પર નાસાના ક્રૂ-12 (Crew-12) મિશનના ચાર અવકાશયાત્રીઓ — બે યુએસ અવકાશયાત્રીઓ, એક ફ્રેન્ચ અવકાશયાત્રી અને એક રશિયન કોસ્મોનૉટ — ને સોમવારે નાસા મિશન કંટ્રોલ તરફથી સ્ટેશન સાથે ડોક કરાયેલા તેમના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં પ્રવેશવાનો આદેશ મળ્યો હતો.

નાસાના એક અધિકારીએ જણાવ્યું કે, જો હવાનું લીકેજ ઈમરજન્સી સ્થળાંતરની નોબત લાવે, તો તે સ્થિતિને પહોંચી વળવા માટે ક્રૂને તેમના સ્પેસસુટ પહેરી લેવા માટે કહેવામાં આવ્યું હતું. નાસાએ પુષ્ટિ કરી છે કે આ ઓર્બિટલ લેબના રશિયન મોડ્યુલમાંથી હવા લીક થઈ રહી છે, જે 2019 થી આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જો કે, રશિયન અવકાશ સંસ્થા રોસકોસ્મોસ દ્વારા છેલ્લી ઘડીએ આયોજિત સમારકામ રદ કરવામાં આવ્યા પછી, નાસાએ હવે પુષ્ટિ કરી છે કે ક્રૂ ‘આયોજિત કામગીરી પર પાછા ફરવા’ જઇ શકે છે. જો કે તેમણે સતર્ક તો રહેવું જ પડશે.

વધતા જતા એર લીકના કારણે નાસાએ અવકાશયાત્રીઓને યાનમાં આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો.  સ્પેસશીપ પર તિરાડો અને લીકેજ વચ્ચે, નાસા પાસે ISS ના ઈમરજન્સી સ્થળાંતર માટેની યોજના તૈયાર છે, અને તેનો ઉપયોગ થઈ શકે છે. ૧૯૯૮માં આંતરરાષ્ટ્રીય સહકારથી લોન્ચ કરવામાં આવેલા આ અવકાશ મથકમાં હવે સમસ્યાઓ સર્જાવા માંડી છે. હાલમાં એક લીકેજની સમસ્યા વધુ વકરી છે પરંતુ લીકેજ છ વર્ષ કરતા વધુ સમયથી થઇ રહ્યું છે. આ લીકેજ 2019 થી ચાલી રહ્યું છે, જ્યારે મોડ્યુલની ટ્રાન્સફર ટનલમાંથી હવા બહાર નીકળવા લાગી હતી.

સમારકામના પ્રયાસો હવાનો પ્રવાહ રોકવામાં નિષ્ફળ જતાં આ લીકેજ ઝડપથી વધી ગયું હતું, જેના કારણે 2024 સુધીમાં દરરોજ 1.68 કિલોગ્રામ જેટલી કિંમતી હવા અવકાશમાં લીક થઈ રહી હતી. આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે નાસાએ કથિત રીતે તેને સ્ટેશન સામેના સૌથી વધુ જોખમી પડકારોમાં સ્થાન આપ્યું છે, જેમાં આંતરિક બેઠકો દરમિયાન ‘વિનાશક નિષ્ફળતા’ની સંભાવના પર પણ ચર્ચા કરવામાં આવી છે. હાલ 1 મેના રોજ જોવા મળેલા આ નવા લીકેજને કારણે શરૂઆતમાં દરરોજ લગભગ એક પાઉન્ડ હવા અવકાશમાં બહાર નીકળી જતી હતી – જે અંદાજે બ્રેડના એક પેકેટના વજન બરાબર છે. જો કે, આ સોમવારે આ દર બમણો થઈ ગયો હતો.

ભૂતકાળમાં, રોસકોસ્મોસના અવકાશયાત્રીઓએ છિદ્રને પ્લગ કરવા અને વધુ હવાને બહાર નીકળતી અટકાવવા માટે સીલંટનો ઉપયોગ કર્યો છે. જો કે, રશિયન એજન્સીના વર્તમાન સમારકામમાં વધુ જોખમ રહેલું છે, અને બાકીના અવકાશયાત્રીઓને સાવચેતીના ભાગરૂપે આશ્રય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘વધારાના ભાગરૂપે, નાસાએ એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-12 ના ચારેય સભ્યો અને નાસાના અવકાશયાત્રી ક્રિસ વિલિયમ્સને સમારકામ ચાલુ હોય તે દરમિયાન ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં ઉચ્ચ સુરક્ષા સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.’

અધિકારીએ વધુમાં જણાવ્યું: ‘તિરાડો હંમેશા ચિંતાનો વિષય રહી છે જેને નાસા ખૂબ જ બારીકાઈથી જુએ છે. નાસા પાસે કટોકટીના કિસ્સામાં સ્પેસ સ્ટેશન ખાલી કરવાની યોજના તૈયાર છે, અને અવકાશયાત્રીઓ હવે તેને અમલમાં મૂકવા માટે તૈયાર છે. જે ક્ષણે હ્યુસ્ટન (મિશન કંટ્રોલ) સંકેત આપે છે, અવકાશયાત્રીઓ સ્ટેશનમાં હવાનું દબાણ ઘટી જાય તેવા કિસ્સામાં આશ્રય લેવા માટે તેમના નિર્ધારિત સ્પેસક્રાફ્ટ તરફ જાય છે. નાસાના જણાવ્યા અનુસાર, સ્પેસસુટની અંદર જવા માટે 30 મિનિટ જેટલો સમય લાગી શકે છે, જે વહેલી તૈયારીને ખૂબ મહત્વની બનાવે છે.

જો સ્ટેશન અસુરક્ષિત બની જાય અને નાસાને સંપૂર્ણ સ્થળાંતર માટે આદેશ આપવાની ફરજ પડે, તો ક્રૂ તેમના સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલને લોન્ચ કરશે અને પૃથ્વી પર પાછા ફરશે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે અગાઉ જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિમાં, સ્પેસએક્સના ડ્રેગનને મિનિટોમાં ચાલુ કરી શકાય છે. આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે એવી આશંકાઓ વધી રહી છે કે આ જૂના થઈ રહેલા સ્પેસ સ્ટેશનને કોઈ હોનારત સર્જાય તે પહેલાં નિવૃત્ત કરવાની જરૂર છે.

વર્ષ 1998 થી, જ્યારે પ્રથમ મોડ્યુલ પર બાંધકામ શરૂ થયું હતું, ત્યારથી ISS એ 20 જુદા જુદા દેશોના 250 થી વધુ મુલાકાતીઓનું આતિથ્ય કર્યું છે અને 400થી વધુ સંશોધન પત્રો રજૂ કર્યા છે. પરંતુ આશરે 1,46,000 ભ્રમણકક્ષા પૂર્ણ કર્યા પછી, ISS પર સ્થાપિત સિસ્ટમ્સ અને હાર્ડવેર હવે તેમની ઉંમર બતાવવા લાગ્યા છે. ISSને માત્ર 2015 સુધી જ ભ્રમણકક્ષામાં રાખવાનો અંદાજ હતો અને હવે તે નિવૃતિના સમયના અંદાજ  કરતાં એક દાયકા કરતાં પણ વધુ સમયથી ભ્રમણકક્ષામાં કાર્યરત છે. હવે ચોક્કસપણે તેને નિવૃત કરીને નવું અવકાશમથક બાંધવા માટે વિચારણા કરવી જોઇએ.

Most Popular

To Top